અરવલ્લી : કોરોનાના સંક્રમણને અટકાવવા તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવાર અર્થે ખાસ ઉભી કરવામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે આર્શિવાદરૂપ સાબિત થઇ છે. જેમાં બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા 21 દર્દીઓ સ્વસ્થ્ય થતા રજા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની સઘન સારવારથી જિલ્લામાં અત્યાર સુધી 62 લોકો કોરોનાને માત આપી ઘરે પરત પરત ફર્યા છે.
કોરોનાને માત આપી સાજા થયેલા બાયડ તાલુકાના તેનપુર ગામના શર્મિષ્ઠાબેન પટેલ જણાવે છે કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેના સ્ટાફ જાણે એક સ્વજનની સારવાર લેતા હોય એમ વિશેષ કાળજી રાખતા હતા.દર્દીઓને સન્માન આપવામાં આવે એવી ઘટના મે જીવનમાં પ્રથમવાર જોઇ છે.
આ અંગે વિગત આપતા જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડૉ. કૌશલ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના મેગા સર્વેલન્સથી શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી સમયસર સારવાર હાથ ધરાતાં કોરોના પોઝિટિવ દર્દીઓ ઝડપથી સ્વસ્થ્ય થઇ રહ્યા છે. જેમાં વાત્રકની કોવિડ-19 હોસ્પિટલમાં બાયડ-ધનસુરાના એક-એક તથા મોડાસા તાલુકાના 15 અને મેધરજ તાલુકાના 4 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.જેમનો શુકવારે રીપોર્ટ નેગેટીવ આવતા કુલ 21 દર્દીઓને રજા આપવામાં આવી હતી.