- 12000ની વસ્તી ધરાવતા મહેળાવ ગામમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન
- ગામમાં 36 કલાકમાં 2 વ્યક્તિઓ ન થાય મોત
- અત્યાર સુધીમાં 40થી 50 લોકો આવી ચુક્યા છે કોરોના પોઝિટિવ
આણંદ : મહેળાવ ગામમાં 12000ની વસ્તી છે. પેટલાદ તાલુકાના મુખ્ય ગામોમાં સમાવેશ થતું ગામ છે, અહીં આરોગ્યલક્ષી સેવા માટે સરકારી દવાખાનું છે. જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્દ્ધ છે, પરંતુ કોરોનાથી બચવા માટે ગામ લોકોને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે દોડવું પડી રહ્યું છે. ઘણા કિસ્સામાં હોસ્પિટલમાં રેપીડ અને RT-PCR ટેસ્ટ માટેના અપૂરતા જથ્થાને કારણે આ હોસ્પિટલમાં સારવાર અને ટેસ્ટિંગ માટે નિર્ભર રહેતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં અથવા ખાનગી વ્યવસ્થાનો લાભ લેવો પડી રહ્યો છે. સ્થાનિકોની માગ છે કે, આ મહામારીની સ્થિતિએ સરકારી હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ કાયમ માટે ઉપલબ્દ્ધ રહે તેવી માગ કરી હતી.
આ પણ વાંચો : વિરમદળ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના લીધે માત્ર 2 જ એક્ટિવ કેસ
ગામમાં 10 જેટલા લોકોનો કોરોનાએ લીધો ભોગ : સરપંચ
ગામના સરપંચ પ્રવીણ પટેલ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, મહેળાવ ગામમાં કોરોનાના સમય દરમિયાન 40થી 50 જેટલા ગામના લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે. ગામમાં અંદાજે 10 જેટલા લોકો કોરોનામાં જીવ ગુમાવી ચુક્યા છે. છેલ્લા 36 કલાકમાં 2 વ્યક્તિએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. સરપંચના જણાવ્યા પ્રમાણે મહેળાવ ગામ પર આસપાસના 6થી વધુ ગામો નિર્ભર કરે છે. તાલુકા પંચાયતની મહેળાવ બેઠકમાં 25000 કરતા વધારે સ્થાનિકો વસવાટ કરે છે માટે આ ગામમાં કોરોના મહામારી માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવે તે આવશ્યક બને છે.
આ પણ વાંચો : ગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન
સ્મશાનમાં ગેસ કે ઇલેક્ટ્રિક સગડી મળે તેવી માગ
મહેળાવ ગામ અને આસપાસના ગામોમાં જ્યારે કોઈ દર્દીનું કોરોનાના કારણે અવસાન થાય છે, ત્યારે તેમને આણંદ અથવા તો પેટલાદ કે નડિયાદના સ્મશાનો પર નિર્ભર રહેવું પડે છે. માટે સ્થાનિકોની માગ છે કે, જો ગામના સ્મશાનમાં ગેસ કે ઇલેક્ટ્રિક સગડીવાળી ચિતાની સુવિધા મળી રહે તો, સ્થાનિક કક્ષાએ કોવિડ દર્દીઓની અંતિમ ક્રિયામાં પડતી મુશ્કેલીનું નિરાકરણ કરી શકાય તેમ છે.
સંક્રમણને નાથવા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
ગામમાં વધી રહેલા સંક્રમણને ધ્યાને લેતા મહેળાવ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તમામ ધંધા રોજગાર બપોરે 2 વાગ્યા બાદ બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. જેમાં તમામ લોકોએ સહકાર આપ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, ગામમાં કોરોના માટે જરૂરી સરકારી નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે અને બપોર બાદ ફક્ત મેડિકલ સ્ટોર સિવાયના તમામ વેપારી વ્યવસાય બંધ કરવામાં આવે, જેને પૂર્ણ જન સમર્થન મળ્યું હતું.
ધાર્મિક સ્થાનો પણ બંધ રાખવાનું ફરમાન
ગામમાં તમામ ધાર્મિક સ્થળો માટે પણ પંચાયત દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યુ છે. જેમાં ફક્ત પૂજારી દ્વારા જ સેવા- પૂજા કરવામાં આવે તે સિવાય અન્ય લોકો શ્રદ્ધાળુઓ કે કોઈ પણ વ્યક્તિએ મંદિર, મસ્જિદ, દેવળ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળમાં થતી પૂજાવિધિમાં ભાગ લેવો નહિ. જે અન્ય સૂચના ન મળે ત્યાં સુધી અમલમાં લાવવામાં આવ્યું છે.