આણંદઃ શહેરમાં 110 ઉપરાંત નાની મોટી ખાનગી હોસ્પિટલમાં આણંદ ફાયર બ્રિગેડ તપાસ હાથ ધરી છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી ગોઝારી ઘટનામાં જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 8 જેટલા દર્દીઓ મોતને ભેટ્યા હતા. ત્યારબાદ આણંદ ફાયર વિભાગ દ્વારા આણંદની પણ હોસ્પિટલોમાં આવો કોઈ બનાવ ન બને તેની અગમચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં અને આકસ્મિક સંજોગોને પહોંચી વળવા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે, કેમ તે તમામ મુદ્દાઓને ધ્યાને રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આણંદની મોટાભાગની હોસ્પિટલો આકસ્મિક સંજોગોમાં દર્દીઓ માટે અસલામત હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.

આ સંદર્ભે માહિતી આપતા આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આણંદની મહત્તમ હોસ્પિટલોમાં સુવિધાઓનો અભાવ જણાઈ રહ્યો છે. જે પ્રમાણે આણંદ ફાયર વિભાગની ટીમ દ્વારા બે દિવસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગની હોસ્પિટલોમાં અગ્નિશામક સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. આવી ખાનગી હોસ્પિટલોને નોટિસ આપી નિયત સમયમાં તમામ સુવિધાઓ ઉભી કરવા માટે સૂચન કર્યું છે.

ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટીની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. આવી હોસ્પિટલને નોટિસ પાઠવી સુવિધા ઉભી કરવા માટે જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ આવી ઘટના બને ત્યારે સરકાર અને જવાબદાર વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ વિભાગો દ્વારા અવારનવાર કરવામાં આવતા સૂચનો પર સમય જતા કામ ન કરનારી સંસ્થાની આળસનો ભોગ સામાન્ય નાગરિકોને બનવુ પડે છે. આ અગાઉ સુરતમાં બનેલી તક્ષશિલા આગ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા અનેક નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ તે બાદ નોટિસની અમલવારી ન કરનારા ટ્યુશન ક્લાસીસ સામે કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. જે બાદ હવે અમદાવાદની શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટના બાદ હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી રહી છે.

ગુજરાતમાં બનેલી આગની મોટી દુર્ઘટના
24 મે 2019 - સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગી આગ, 20ના મોત
સુરતના સરથાણા જકાતનાકા નજીક તક્ષશિલા આર્કેડ એપાર્ટમેન્ટ બીજા માળે ભીષણ આગ લાગી હતી. જેમાં આગ લાગવાને કારણે 20 લોકોના મોત થયા હતા.
8 ઓગસ્ટ 2020 - અમદાવાદ: નવરંગપુરાની શ્રેય કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગથી 8 દર્દીના મોત
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા 8 દર્દીના મોત નીપજ્યાં હતો. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં 49 કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. આ આગ રાત્રે 3:00 કલાકે લાગી હતી. જેના પર 4.20 કલાકે કાબુ મેળવી લોવાયો હતો. આ આગમાં 5 પુરૂષ, 3 મહિલાના મોત થયા હતા, તેમજ એક મેડિકલ પેરામેડીકલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા હતા.