આણંદઃ જિલ્લાની નવાબી નગરી ખંભાત કોરોનાની ઝપેટમાં આવી છે ત્યારે ખંભાતમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખંભાતના અલિંગ વિસ્તારમાં રહેતા રાણા પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આ પરિવારના સંપર્કમાં આવેલા અન્ય નાગરિકો અને સમગ્ર વિસ્તારનું માસ સેમ્પલિંગ લઇ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લાના ખંભાતના વતની અને સુરતમાં હીરા ઘસુનો વ્યવસાય કરતા કેતનભાઈ રાણા અને તેમનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે કેતન રાણાના પરિવારના બુધવારે સાત સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
13 એપ્રિલના રોજ કેતન રાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. કેતન સુરતમાં હીરા ઉદ્યોગમાં કારીગર તરીકે વ્યવસાય કરતો જે લૉકડાઉન થતા વતન ખંભાત પરત ફર્યો હતો. અચાનક તબિયત બગડતા આરોગ્ય વિભાગ દ્વારા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા જ તેમના ક્લોઝ કોન્ટેકટમાં રહેલા તેમના પરિવારના સભ્યો અને પાડોશીઓની પણ ચકાસણી કરવામા આવી હતી. જેમાં તેમનાં જ પરિવારના અન્ય 7 સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, ત્યારે ખંભાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 12 પર પહોંચ્યો છે અને જિલ્લામાં આંકડો 17 થયો છે.