અમદાવાદઃ :અમદાવાદના જૂહાપુરા વિસ્તારના યુવાન અદિબ મન્સૂરીએ લૉક ડાઉનમાં ખડેપગે રહેતાં પોલીસકર્નેમીઓને રાહત આપવા સોલાર છત્રી બનાવી છે. જુહાપુરામાં રહેતો અદીબ મન્સૂરી એસ.જી હાઈવે પર આવેલ એલ.જે.સંસ્થાના મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે.
અદિબના મનમાં સતત એ વાત ખટકતી હતી કે લૉક ડાઉનના આ સમયમાં જ્યારે પોલીસ ૨૪ કલાક ગરમીમાં ફરજ બજાવી રહી છે ત્યારે તેમને રાહત મળે તેવું કોઈ સાધન નથી. તે વાતે તેને સોલાર છત્રી બનાવવા માટે પ્રેરણા આપી હતી. તેને છત્રી પર સોલાર પેનલ ફીટ કરી હતી. એક મોટી છત્રી પર છ સોલાર પેનલ ફીટ કરવામાં આવે છે. જેમાંથી ૧૨ વોટ જેટલો વિદ્યુત પ્રવાહ મળી શકે છે.તડકો હોય તે દરમિયાન સતત સોલાર પેનલથી છત્રીની અંદર પંખો ચાલુ કરી શકાય છે અને સાથે-સાથે મોબાઇલનું ચાર્જીંગ પણ થઇ શકે છે.
આ છત્રીની અંદર વિદ્યુતના સંગ્રહ માટે બેટરી ફીટ કરવામાં આવે તો રાત્રિના સમયે પોલીસ કર્મીઓ માટે ચેક પોઇન્ટ ઉપર લાઈટની વ્યવસ્થા પણ થઈ શકે છે.અદિબે ખૂબ જ સરસ એવી શોધ કરી છે. આગળ જતાં તે લોકો માટે ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. તેણે કહ્યું છે કે,પોતાની કોલેજના સહયોગથી તે અમદાવાદના પોલીસકર્મીઓ અને ફેરિયાઓ માટે પણ આવી છત્રીઓનું વધુ નિર્માણ કરશે.