અમદાવાદઃ શહેરની સ્થિતિ દિવસેને દિવસે ખૂબ જ ખરાબ થતી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક દિવસ પહેલા જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યો હતો કે, શહેરમાં કરિયાણા અને શાકભાજીના વેચાણકર્તાઓની દુકાન બંધ રહેશે. કારણ કે આ લોકો કોરોના વાઇરસના સુપર સ્પ્રેડર્સ બન્યા છે. તેને લઈને નાગરિકોએ પણ ખાસ્સી તકલીફ ભોગવવી પડી રહી છે.
પરંતુ તેમ છતાં શહેરના લોકો લોકડાઉનનું ચુસ્ત પાલન કરી રહ્યા છે. બપોરે બાર વાગ્યા સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ સોશિયલ ડિસ્ટન્સ રાખીને લોકો ખરીદી રહ્યા છે. પરંતુ શહેરમાં વસતા પરપ્રાંતના મોટાભાગના શ્રમિકોને તકલીફ પડી રહી છે. કારણ કે પોતાના વતન તરફ જવા તેમને આમથી તેમ ફરવું પડે છે.
તો બીજી તરફ એક પ્રશ્ન એ પણ છે કે, ગુજરાત રાજ્યમાં જ આંતર જિલ્લામાં જવા માટે પણ કોઇ સ્પષ્ટતા હજી સુધી લોકોમાં જોવા મળતી નથી. એટલે આટલા મોટા વસ્તીવાળા શહેરને સંભાળવું તંત્ર માટે અઘરું બની ગયું છે.