દેશમાં સતત બીજી વખત જંગી બહુમતી મેળવી ભાજપની સરકાર બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. 30મીએ બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતાં પહેલા તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેશે. ગુજરાત આવી રહેલા મોદી અને અમિત શાહનું પ્રદેશ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત, અભિવાદન કરવામાં આવશે. તો આ સાથે જ અમદાવાદમાં ખાનપુર જે.પી.ચોક ખાતેના ઐતિહાસિક ભાજપ કાર્યલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવશે. મોદી અહીં કાર્યકરોને સંબોધન પણ કરશે. ચૂંટણી પરિણામો બાદ મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં 350થી વધુ બેઠક મેળવ્યા બાદ શપથવિધિ પહેલા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવશે. એરપોર્ટથી સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાજપના જૂના કાર્યાલય ખાનપુર કાર્યાલય પર આભાર સભાને સંબોધશે. મોડી સાંજે સભા પૂર્ણ કરીને માતા હીરાબાના નિવાસસ્થાને જઈ તેમના આશીર્વાદ મેળવશે. તેઓ રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. મોડી રાતે ગુજરાતના નેતાઓ અને મંત્રીમંડળ સાથે ચર્ચા કરશે. ગુજરાતમાંથી ચૂંટાયેલા ક્યાં સાંસદોને કેન્દ્રમાં પ્રધાન તરીકે લઈ જવા, તેમજ ગુજરાતના પ્રધાનમંડળના વિસ્તરણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જે બાદ આવતીકાલે સવારે તેઓ વારાણસી જવા રવાના થશે.
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
- રવિવારે સાંજે 5.00 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
- 5.05 મીનિટે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ
- 5.30 કલાકે ખાનપુર ભાજપ કાર્યાલય જાહેરસભાને સંબોધન
- 7.30 કલાકે ગાંધીનગર માતા હીરાબાના નિવાસસ્થાને મુલાકાત
- 8.00 કલાકે રાજભવનસોમવારે સવારે
- 8.00 કલાકે રાજભવનથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના