ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, વર્ષ 2018-19માં 77,574 એપ્રેન્ટીસ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે હતું. 15 ઓક્ટોબરની સ્થિતિએ દેશમાં એપ્રેન્ટીસની સંખ્યા 1.69 લાખ છે. જેમાંથી ગુજરાત 23 ટકા ભાદ સાથે 38,886 એપ્રેન્ટીસ ધરાવે છે. એપ્રેન્ટીસશીપ પોર્ટલ ઉપર નોંધણી કરાવનાર રાજ્ય તરીકે પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. આ પોર્ટલ ઉપર થયેલી કુલ 66,666 એકમોની નોંધણી માટે ગુજરાતના 17,702 એકમોની નોંધણી કરવામાં આવી છે.
મિત્રાએ સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનીસ્ટ્રેશન ખાતે એપ્રેન્ટીસશીપ પખવાડિયાના સમાપન સમારંભમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો ઉદ્દેશ વર્ષ 2019-20માં 1 લાખ એપ્રેન્ટીસને રોજગારી આપવાનો છે.
સર્વિસ સેક્ટર, બેંકિંગ, ફાયનાન્સિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ (બીએફએસઆઈ), હેલ્થ કેર, લાઈફ સાયન્સ, લોજીસ્ટીક્સ, રિટેઈલ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી તેમજ અન્ય ક્ષેત્રના આશરે 150 જેટલા પ્રતિનિધિઓએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. મિત્રાએ વધુ સંખ્યામાં એપ્રેન્ટીસ રોકવા માટે સર્વિસ સેક્ટરને ટકોર કરી હતી. હાલમાં માત્ર ઉત્પાદન ક્ષેત્રમાં જ એપ્રેન્ટીસને રોકવામાં આવે છે. આમ છતાં સર્વિસ સેક્ટરમાં ઘણી મોટી ક્ષમતા હોવાથી આ સમારંભનું આયોજન સર્વિસ સેક્ટર વધુ સંખ્યામાં એપ્રેન્ટીસની ભરતી કરે તે હેતુથી યોજવામાં આવ્યું હતું. વિભાગ દ્વારા સર્વિસ સેક્ટરના લોકોને આમંત્રિત કરીને આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા અવલોકનમાં એવું જણાવા મળ્યું છે કે, સર્વિસ સેક્ટરની ક્ષમતાના પ્રમાણમાં ઓછા એપ્રેન્ટીસ રોકવામાં આવે છે. અમે એપ્રેન્ટીસને કામ મળે તે માટે તમારો સહયોગ ઈચ્છીએ છીએ. તેનાથી તમને કુશળ માનવબળની ઉપલબ્ધિનો પણ લાભ મળશે.
સમારંભમાં હાજર રહેલા પ્રતિનિધિઓને નેશનલ એપ્રેન્ટીસશીપ પ્રમોશન સ્કીમ અને નેશનલ એપ્રેન્ટીસશીપ ટ્રેનિંગ સ્કીમ અંગે ઉપલબ્ધ પ્રોત્સાહનો બાબતે માહિતી આપવામાં આવી હતી. એપ્રેન્ટીસ રોકવા માટેની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે તાજેતરમાં સ્ટાઈપેન્ડની રકમ બમણી કરી છે. ધોરણ-5 થી 9 સુધીનું શાળાનું શિક્ષણ પૂરૂ કરનારને દર મહિને 5,000નું સ્ટાઈપેન્ડ તથા કોઈપણ વિદ્યાશાખાની ગ્રેજ્યુએટની ડીગ્રી ધરાવનાર ઉમેદવારને રૂ.9,000નું સ્ટાઈપેન્ડ આપવાનું નક્કી થયું છે. કેન્દ્ર સરકાર એપ્રેન્ટીસ દીઠ માસિક 1500ની મર્યાદામાં સ્ટાઈપેન્ડ તરીકે ચૂકવાયેલી રકમમાંથી 25 ટકા પરત કરે છે. જ્યારે ગુજરાત સરકાર ગ્રેજ્યુએટ અથવા તો ડીગ્રીધારક કર્મચારીને અપાતા સ્ટાઈપેન્ડમાંથી 3,000 અને ડિપ્લોમા ધારક ઉમેદવારને 2,000 તેમજ અન્ય માટે 1500 પરત કરે છે.