ત્યારે 1946થી રથયાત્રા સાથે જોડાયેલા અને રથની કાળજી લેનારા ખલાસ મફતલાલ મંગળદાસે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, “હું અંગ્રેજોના સમયથી રથયાત્રા સાથે જોડાયેલો છું. ૧૪૨ વર્ષથી અમારા ખલાસ ભાઈઓ રથ ખેંચે છે. પહેલી વખત બળદ ગાળામાં રથયાત્રા નીકળી હતી, ત્યાર બાદ 1950માં આ રથ બનાવાયા હતા. 1981માં સ્ટેરીંગ લગાવવામાં આવ્યા હતા. 1992માં લોખંડના પૈડાં લગાવવામાં આવ્યા હતા.”
જ્યારે પૈડાની કાળજી લેતા ભરતભાઈ બાબુલાલ કાડિયાએ જણાવ્યું કે, “અમે ત્રણ વ્યક્તિઓ ત્રણ રથના પૈડાનું હેન્ડલિંગ કરીએ છીએ. પૈડા રથનું સ્તંભ છે અને એની કાળજી લેવી અમારી ફરજ છે, ક્યાંય પણ પૈડાના કારણે રથયાત્રામાં ન રોકાય તે અમારે માટે મહત્વનું છે અને અમે પુરી નિષ્ઠાથી તેની કાળજી લઈએ છીએ. અમને આ શુભ કાર્ય કરવાનો મોકો મળ્યો તે બદલ ભગવાનનો આભાર પણ માનીએ છીએ.”
જેટલું મહત્વ ભગવાન જગન્નાથની રથયાત્રા અને મંદિરનું છે, એટલું જ મહત્વ રથનું અને પૈડાનું પણ છે. કારણ કે, ભગવાનની યાત્રા આ રથ પર જ થાય છે અને તેને સાચવતા કારીગરો આ કાર્ય કરી પોતે ધન્યતા અનુભવે છે અને ભવ્યાતિભવ્ય ઈતિહાસના સાક્ષી બનવા બદલ ભગવાન જગન્નાથનો આભાર માને છે.
રથયાત્રાની ભવ્યતા સમાન ઐતિહાસિક રથોને સાચવનારા અને સજાવનારા હાથો ફરી તૈયાર છે અને રથયાત્રામાં પોતાની કળા સાથે યાત્રાને સફળ બનાવવા સજ્જ છે. ત્યારે વર્ષોથી ભગવાન જગન્નાથની સેવામાં આ કામ કરતા આ કારીગરોને તેમના કામ અને કર્તવ્ય પ્રત્યે ગૌરવ છે.