અમદાવાદ અમદાવાદ શહેરમાં વધુ એક લૂંટનો વધુ એક બનાવ બન્યો છે. નવા વાડજમાં અખબારનગર પાસે આવેલા શ્રીરત્ન કોમ્પ્લેક્સથી નીકળેલા બે આંગડિયા પેઢીના કર્મચારીઓ નજીકના જ પાન પાર્લર પાસે ઉભા રહ્યાં, તે દરમ્યાન બાઈક પર આવેલા શખ્સોએ આંગડીયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા અને દાગીના ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસની ચક્રો ગતિમાન કર્યા હતાં.
સોનલ પાન પાર્લર પાસે ઘટના બની : અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં મોડી રાત્રે બનેલી લૂંટની ઘટનામાં વાત કરીએ તો પટેલ અમૃતભાઈ કાંતિલાલ નામની આંગડિયા પેઢીના બે કર્મચારીઓ દેવાભાઈ ઠાકોર અને કનુભાઈ પ્રજાપતિ નવા વાડજમાં શ્રીરત્ન કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાંથી પાર્સલો લઈને રાત્રે આઠ વાગ્યાની આસપાસ માણેકચોકની ઓફિસે જવા માટે નીકળ્યા હતા. તે સમયે નજીકમાં આવેલા સોનલ પાન પાર્લર ઉપર તેઓ મસાલો ખાવા માટે ઉભા રહ્યા, તે દરમિયાન 20 થી 25 વર્ષના બે શખ્સો તેઓની પાસે આવ્યા હતા અને તેઓની પાસેથી પાર્સલ ભરેલો થેલો આંચકીને મોટરસાયકલ ઉપર ભીમજીપુરા તરફ ફરાર થઈ ગયા હતા.
સોનાની કિંમત 27 લાખ : જે સમગ્ર મામલે તેઓએ શૈલેષભાઈ નામના મેનેજરને ફોન કરીને હકીકતની જાણ કરતા થેલામાં રહેલા આઠ અલગ અલગ પાર્સલોમાં સોનાની કિંમત 27 લાખની લૂંટ થતા આ મામલે વાડજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
થોડાક દિવસો પહેલા જમાલપુર થઇ હતી આવી લૂંટ : આ અંગેની જાણ પોલીસને થતા વાડજ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલા ઘટના સ્થળે પહોંચી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. મહત્વનું છે કે આ ઘટના પહેલા થોડાક દિવસો પહેલા જમાલપુરમાં પણ આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરીને લૂંટ કરવામાં આવી હતી. જે આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર હોય ત્યારે વધુ એક લૂંટનો બનાવ બનતા શહેરભરમાં ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે.
આરોપીને પકડવાની તજવીજ : આ અંગે શહેર પોલીસના બી ડિવિઝનના એસીપી એચ.એમ કણસાગરાએ જણાવ્યું હતું કે ફરિયાદીની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે ગુનામાં સામે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.