દાદરા નગર હવેલીમાં 1 લોકસભા સીટ માટે કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ગત 23મી એપ્રિલે મતદાન યોજાયું હતું. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કુલ 11 ઉમેદવારો પૈકી મુખ્ય કહી શકાતા ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. આ જંગમાં ભાજપ તરફથી સીટીંગ સાંસદ નટુભાઈ પટેલને ભાજપે ત્રીજી ટર્મ માટે મેદાને ઉતાર્યા હતા.

જ્યારે કોંગ્રેસે પ્રભુ ટોકીયા નામના ઉમેદવારને પ્રથમ વખત ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા. જેની સામે ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ અંકિતા પટેલે શિવસેનાનું ધનુષ પકડી ત્રીજા વિકલ્પ તરીકે આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જ્યારે અપક્ષ-ભાજપ-કોંગ્રેસ એમ પવનનો વેગ જોઈ સઢ ફેરવનાર અને સતત 6 ટર્મ સુધી સાંસદ રહી ચૂકેલા મોહન ડેલકરે બેટ્સમેનના નિશાન પર અપક્ષ તરીકે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ તમામ નેતાઓએ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ત્યારે, 23મી એપ્રિલના મતદાન બાદ એક તરફ ભાજપના સીટીંગ સાંસદે પોતાની હેટ્રીકની દાવેદારી મતદાનના દિવસે જ નોંધાવી દીધી હતી. જ્યારે કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ મતદાનનું ખાસ વિશ્લેષણ કરી પોતે 200 મતથી દાદરા નગર હવેલીની લોકસભા સીટ જીતશે તેવી આગાહી કરી છે અને એ માટે જે પરિબળો મહત્વના બનશે તે અંગે પણ ખાસ ચોખવટ કરી છે. પ્રભુ ટોકીયાએ કરેલા વિશ્લેષણ અને આગાહી મુજબ કુલ 1,98,982 મતદારોએ કરેલા મતદાનમાં કોંગ્રેસને 59,705 મત મળશે, ભાજપને 59,505 મત મળશે, અપક્ષને 56150 મત મળશે, શિવસેનાને 9840 મત મળશે અને અન્ય અપક્ષ તેમજ નોટામાં 13782 મત જશે. જે મુજબ કોંગ્રેસના પ્રભુ ટોકીયા નજીવી 200 મતની સરસાઈથી લોકસભા સીટના વિજેતા ઉમેદવાર બનશે.
પ્રભુ ટોકીયાએ અને કોંગ્રેસે આ માટે કયા ખાસ પરિબળો કામ કરશે તે અંગે પણ વિશ્લેષણ કર્યું છે. જે મુજબ સીટીંગ MP સામે ઉભું થયેલ anty incumbency fector, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની NYAY યોજના, પ્રભુ ટોકીયા પોતે વારલી જાતિમાંથી આવતા હોય વારલી મતદારોનું પ્રભુત્વ, કોંગ્રેસની વિચારધારા ધરાવતા ચુસ્ત કોંગ્રેસી મતદારો એ સિવાય શહેરી વિસ્તારમાં થયેલું ઓછું મતદાન અને SC/ST/OBC અને લઘુમતી સમાજનો કોંગ્રેસ તરફનો ઝુકાવ કોંગ્રેસને વિજય બનાવવામાં મહત્વના પરિબળો હોવાનું જણાવ્યું છે.
જો કે, આખરે કોંગ્રેસની જીતનું આ વિશ્લેષણ કેટલું સાચું સાબિત થશે તે તો 23મી મેં એ ચૂંટણીના પરિણામ વખતે જ ખબર પડશે. પરંતુ હાલ દાદરા નગર હવેલીમાં કોંગ્રેસના ઉમેદવાર 200 મત થી જીતે છે તે પ્રકારની પત્રિકાએ કોંગ્રેસ ગેલમાં છે. અને ભાજપ-અપક્ષ ઉમેદવાર અવઢવમાં છે.