- અનાથાશ્રમમાં રહેતા અને શિક્ષણ તેમજ રમત-ગમતમાં સારા બાળકોને આજે હવાઈ યાત્રા કરાવી
- સુરતના ઉદ્યોગપતિઓએ એરલાઈન્સ વેન્ચુરા એરક્રાફ્ટ દ્વારા અનાથ બાળકોને અનોખી હવાઈ યાત્રાની ભેટ આપી
- અનાથ બાળકો ખેલાડીઓ પર ગર્વ અનુભવે તેવો ઉદ્દેશ્ય
સુરત: ઓલમ્પિક અને પેરા ઓલમ્પિકમાં જે રીતે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધીમાં સૌથી વધુ મેડલ આ વર્ષે તેઓએ લાવ્યા છે. તેને જોતાં સુરતના ઉદ્યોગપતિઓએ ખેલાડીઓના પ્રદર્શનને બિરદાવા માટે અનાથાશ્રમમાં રહેતા અને શિક્ષણ તેમજ રમત-ગમતમાં સારા બાળકોને આજે રવિવારે હવાઈ યાત્રા કરાવી છે. સુરતના સૌથી જૂના એવા અનાથાશ્રમના બાળકોને જ્યારે ખબર પડી કે ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે તેમને આ હવાઇ યાત્રા કરવાની તક મળી છે. ત્યારે તેઓ પણ આનંદિત થઈ ગયા હતા.
અનાથ આશ્રમમાં ભણતા બાળકોને હવાઈ યાત્રા કરાવવાનો નિર્ણય
એરલાઈન્સ કંપનીના CEO મનુભાઈ સોજીંત્રાએ જણાવ્યું હતું કે, સુરતના લોકો સૌરાષ્ટ્ર પહોંચી રહે આ માટે સુરતના ત્રણ ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, સવજી ધોળકિયા અને લવજી બાદશાહ દ્વારા વેન્ચુરા એરફ્રાફ્ટની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 7 વર્ષથી સુરતમાં એકમાત્ર સેવાકીય ઉદ્દેશ્ય સાથે ચલાવવામાં આવી રહી છે. ઓલમ્પિક અને પહેલા ઓલમ્પિકમાં ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી આ ત્રણેય ઉદ્યોગપતિ આટલી હદે પ્રભાવિત થયા કે તેની ઉજવણી કરવા માટે તેઓએ અનાથ આશ્રમમાં ભણતા બાળકોને હવાઈ યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો હતો.
બાળકોએ 20 મિનિટ સુધી હવાઇ યાત્રા કરી
મનુભાઈ સોજીંત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, કતારગામ અનાથ આશ્રમ ખાતે રહેતા આવા વિદ્યાર્થીઓ કે જે શિક્ષણ અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોય છે, તેવા બાળકોને હવાઈ યાત્રા કરાવી છે. આ આવા બાળકો છે કે જેઓએ ક્યારે એરપોર્ટ જોયું નથી. 20 મિનિટ સુધી તેઓએ હવાઈ યાત્રા કરી અને ખૂબ જ આનંદિત થઈ ગયા હતા. બાળકો રમતગમતથી પ્રેરાઇ અને ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ પ્રત્યે ગર્વ અનુભવે તે હેતુથી આ યાત્રા શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા કરાવવામાં આવી છે.
ત્રણેય ઉદ્યોગપતિ સામાજિક કાર્યો કરતા હોય છે
ગોવિંદ ધોળકિયા અને સવજી ધોળકિયા વિશ્વના ડાયમંડ મર્ચન્ટ તરીકે ઓળખાય છે. જ્યારે લવજી બાદશાહ બિલ્ડરની સાથોસાથ ખૂબ મોટું નામ ધરાવે છે. લવજી બાદશાહ દ્વારા દીકરીઓ માટે કરવામાં આવતી યોજનાની સરાહના વડાપ્રધાન મોદી અને રાજ્ય સરકારે પણ કરી છે. આ ત્રણેય દ્વારા શહેરની સેવા માટે કોઈક નવી રીતે આયોજન કરવામાં આવતું હોય છે.
અગાઉ સવજી ધોળકીયાએ મહિલા હોકી ટીમ માટે ઇનામની જાહેરાત કરી હતી
સવજી ધોળકીયાએ હાલમાં જ મહિલા હોકી ટીમ માટે ઇનામની જાહેરાત પણ કરી હતી. અનાથ બાળકોને હવાઈ યાત્રા કરાવી તેમના શિક્ષણક્ષેત્રે કારકિર્દી ઉજ્જવળ બને અને સમાજથી વિખૂટા ન પડે તે માટે પ્રોત્સાહન આપવા માટે સૌપ્રથમ વિમાન વિશેની સમજણ આપવામાં આવી હતી અને ત્યારબાદ પાયલોટ બનવું હોય તો કઈ રીતે આગળ વધી શકાય તે સમજાવીને બાળકોને હવાઈ યાત્રાનો આનંદ આપવામાં આવ્યો હતો. આ સાથે બાળકોના ઉત્સાહ વધારવા માટે એક વિશિષ્ટ પ્રોગ્રામ આપીને બાળકોને વિશિષ્ટ ઈનામથી નવાજવામાં આવ્યા હતા.