- સુરતમાં ચણિયાચોળીના વેપારીઓએ માત્ર 50 ટકા જ સ્ટોક તૈયાર કર્યો
- સરકારે માત્ર શેરી ગરબાને મંજૂરીની જાહેરાત મોડી કરતા વેપારીઓ થયા નિરાશ
- દુકાનોમાં જોવા મળતી ભીડને બદલે હવે એકલદોકલ ગ્રાહકો જોવા મળી રહ્યા છે
- વેપારીઓએ ટ્રેડિશનલ અને ફ્યૂઝન ચણિયાચોળી એમ બંનેની કિંમતમાં વધારો કર્યો નથી
સુરત: આવતીકાલ (ગુરુવાર)થી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે, આ વખતે સરકારે માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપી છે. સરકારે આ અંગે મોડી જાહેરાત કરતા વેપારીઓ અવઢવમાં મુકાયા હતા. ત્યારે આ વખતે સુરતમાં વેપારીઓએ 50 ટકા ઓછો સ્ટોક તૈયાર કર્યો છે. માત્ર શેરી ગરબાને મંજૂરી મળતા બજારમાં પણ ઘરાકી ઓછી જોવા મળી રહી છે, જેની સીધી અસર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો પર થઈ રહી છે.
આ પણ વાંચો- કોરોના ગાઇડલાઇન્સ સાથે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં નવલા નોરતાની તૈયારીઓ શરૂ
બજારમાં આ વખતે દર વર્ષ જેટલી રોનક નથી દેખાતી
આવતીકાલ (7 ઓક્ટોબર)થી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે રોનક એટલી જોવા નથી મળી રહી, જેનું સૌથી મોટું કારણ એ છે કે, કોરોનાને પગલે મોટા આયોજન કરવાની મંજૂરી સરકારે આપી નથી. એટલે કે સોસાયટી, એપાર્ટમેન્ટ કે મહોલ્લામાં જ નવરાત્રિના નાના આયોજનો થશે. આવા આયોજનો થવાના કારણે ખેલૈયાઓ સામાન્ય વર્ષો દરમિયાન ચણિયા-ચોળીમાં રોકાણ કરતા આવ્યા છે. તે ઓછું કરે તેવી શક્યતાઓ વર્તાય રહી છે, જેની અસર વેપારીઓની સાથે સાથે કારીગરો પર પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો- Navratri 2021: નવરાત્રીમાં કલશની સ્થાપના માટે શુભ મુહર્ત, પૂજા પદ્ધતિ અને સામગ્રીની યાદી જાણો
કોરોનાના કારણે અસમંજસ થતા વેપારીઓએ સ્ટોક ઓછો કર્યો
વેપારીઓની દુકાનોમાં જોવા મળતી ભીડને બદલે હવે એકલ-દોકલ ગ્રાહકો જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રિના તહેવારમાં ત્રણેક મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. જોકે, આ વર્ષે પણ કોરોનાને કારણે અસમંજસ થતા વેપારીઓએ સ્ટોક ઓછો કર્યો છે. જ્યારે બીજી તરફ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોને આવકમાં પણ ઘટાડો થયો છે.
આવકમાં 30થી 40 ટકાનો ઘટાડો
આ અંગે વેપારી મોહનભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2019ની સરખામણી કરીએ તો, આ વર્ષે માત્ર 50 ટકા જેટલો જ સ્ટોક કર્યો છે. અત્યારે ઘરાકી ઓછી છે. જોકે, ટ્રેડિશનલ અને ફ્યૂઝન ચણિયાચોળી એમ બંનેમાં કિંમતમાં વધારો કર્યો નથી. જ્યારે વેપારી કાજલબેને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઘરાકી રહે તેવી શક્યતાઓ સેવી રહ્યા છીએ. સ્ટોક ઓછો કર્યો હોવાને કારણે કારીગરોની આવકમાં 30થી 40 ટકાનો ઘટાડો છે.