રાજકોટઃ કેન્દ્ર સરકારના દુકાન ખોલવાના જાહેરનામા બાદ 26 એપ્રિલથી રાજ્યનાં અનેક વિસ્તારોમાં દુકાનો ખોલવામાં આવી રહી છે. ત્યારે શહેરના ગોંડલમાં વેપારીઓ દ્વારા ધંધા રોજગાર માટે જે દુકાનો ખોલવાની પરવાનગી આપી નથી તેવી દુકાનો પણ દુકાનદારો દ્વારા ખોલતા પોલીસ અને પ્રસાશને દુકાનોને બંધ કરતા રોષ ફેલાયો હતો. જેને લઈ પ્રાંત કચેરી ખાતે તાકીદની મિટિંગ મળી હતી.
મિટિંગમાં પ્રાંત અધિકારી રાજેશ આલ, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, સીટી પીઆઇ રામાનુજ, એલસીબી પીઆઇ રાણા, પાલિકા કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ હજાર રહ્યા હતા અને દુકાન ખુલ્લી રાખવા અંગે જાહેરનામાની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે શહેરની નાની મોટી બજાર, કોમ્પ્લેક્સ કે મોલમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો ખુલી રાખી શકશે નહીં, માત્ર સોસાયટી વિસ્તાર તેમજ ખુલ્લા રાજમાર્ગ ઉપર આવેલ કરિયાણા, દૂધ, સ્ટેશનરીની દુકાનો ખુલી રાખી શકશે જેમાં વેપારીઓ પાસે સોંપ લાયસન્સ, માસ્ક અને સેનેટાઈઝ હોવું ફરજીયાત છે. જો તેનો કોઈ ભંગ કરશે તો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગોંડલ નગર પાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરવામાં આવશે જો કોઈ માસ્ક વગર ના જણાશે તો સ્થળ ઉપર જ રૂ. 100 દંડ વસુલ કરવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે પાન માવા, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ પાર્લર, હેર સલૂન, બ્યુટી પાર્લર, બુટ ચપ્પલ વેગેરે દુકાનો ફરજીયાત બંધ રાખવાની રહેશે.