જામનગરઃ જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી અને વિના કારણે ભીડ એકઠી કરતા હોવાથી કોરોનાનો લોકલ સંક્રમણ વધી ગયું છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારના સંખ્યાબંધ કેસો સામે આવતા ખુદ મ્યુનિ.કમિશનર સતીષ પટેલ આજે મેદાનમાં ઉતર્યા છે. અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે.
જામનગર શહેરના હવાઈ ચોક અને ખંભાળિયા ગેટ આસપાસના વિસ્તારોમાં અનેક રેકડીઓ ખડકાયેલી હોય છે. ત્યાં તેના કારણે ભીડ એકઠી થતી હોવાથી આજે મ્યુનિ.કમિશનરની હાજરીમાં જ દબાણ હટાવ શાખાએ 10થી વધુ રેકડી કેબિનો તથા અન્ય સામગ્રી કબજે કરી લીધી હતી. આ ઉપરાંત બર્ધનચોક વિસ્તારમાં પણ મ્યુનિ.કમિશનરની હાજરીમાં જ દબાણ હટાવ શાખાએ સપાટો બોલાવ્યો હતો. 10થી વધુ રેકડી પાથારણા હટાવ્યા છે.
આ ઉપરાંત જામનગરના સાત રસ્તા સર્કલથી એસટી ડિવિઝન સુધીમાં અનેક રેકડીઓ ખડકાઈ જાય છે. સાથોસાથ ચશ્માનો વેપાર કરનારા કેટલાક વિક્રેતાઓએ માર્ગ ઉપર ચશ્મા રાખવા માટેના પાટીયા ખડકી દીધા છે. એવા એકાદ ડઝન જેટલા પાટીયા પણ કબજે કરી લેવામાં આવ્યા છે. મ્યુનિ. કમિશનરની હાજરીમાં જ સમગ્ર શહેરી વિસ્તારમાં જ્યાં ભીડ એકઠી થતી હોય અથવા તો ગેરકાયદે રેકડી કેબિનો ખડકાઇ ગઇ હોય તેવા તમામ સ્થળો પરથી દબાણો હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જામ્યુકોના તંત્રની આ કાર્યવાહીથી અનેક ધંધાર્થીઓમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. તમામ જપ્ત કરેલી રેકડી સહિતનો માલસામાન મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.