- જામનગરનો કુખ્યાત ગુંડો જયેશ પટેલ બ્રિટનમાં હોવાનું સામે આવ્યું
- ખંડણી માટેના કોલ્સ ટ્રેસિંગ કરાતા જયેશ પટેલનો ભાંડો ફૂટ્યો
- જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યાના કેસમાં ધરપકડ કરવા ભારતે માગ કરી
- 41 વર્ષના જયેશ પટેલની સામે હત્યા, ખંડણી, બોગસ દસ્તાવેજો સહિતના 42 ગુના
- ગુજરાત પોલીસની રજૂઆતમાં ઈન્ટર પોલની નોટિસનો પણ ઉલ્લેખ
જામનગરઃ ઈન્ટરપોલે પણ જયેશ પટેલ ઉર્ફે જયસુખ રાણપરિયાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી દુનિયાભરના દેશોને તેને કસ્ટડીમાં લેવા સતર્ક કર્યા છે. જયસુખને શોધી કાઢીને તેની ધરપકડ કરવા માટેની ગુજરાત પોલીસની રજૂઆતમાં ઈન્ટરપોલની નોટિસનો પણ ઉલ્લેખ છે. જયસુખ જામનગરમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સને ધમકી આપીને તેેમની પાસેથી ખંડણી માગતો હતો. બોગસ દસ્તાવેજો તૈયાર કરાવી જે-તે જમીન કે બિલ્ડિંગ પર દાવો કરતો હતો. પરિણામે, આવી ડખાવાળી જમીન કે મકાનો-દુકાનો વેચવાનું બિલ્ડરો માટે મુશ્કેલ બની જતું.
ગુંડા જયેશ પટેલને ખંડણી મળે પછી જ તે પ્રોપર્ટીનું ટાઈટલ ક્લિયર થવા દેતો
તેને ખંડણી અપાય પછી જ તે જે-તે પ્રોપર્ટીનું ટાઈટલ ક્લિયર થવા દેતો. આ રીતે જયેશ પટેલ કરોડો રૂપિયા કમાયો હોવાનું કહેવાય છે. કિરીટ જોશી જયસુખ સામેના ખંડણીના કેસો લડતા હોવાથી તેણે જોશીની હત્યા કરાવી હતી. ત્યારે તેને અણસાર આવી ગયો હતો કે કિરીટ જોશીની હત્યા મામલે પોલીસ તેની પાછળ પડી જશે. આથી તે બોગસ પાસપોર્ટ પર દુબઈ નાસી ગયો હતો. ત્યાં થોડો સમય રહ્યા બાદ હાલ તે બ્રિટનમાં હોવાનો ધડાકો થયો છે.