ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ બેઠકમાં PM ને જવાબ આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ આખો કોરોના સામે જંગ લડી રહ્યો છે અને આ લડાઇ સાચી દિશામાં જઇ રહી છે. આપત્તિને અવસરમાં પલટાવીને આ મહામારી સામે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત કોરોનાની મહામારીને હરાવવા પ્રતિબદ્ધ છે. ગુજરાતે 76 ટકા જેટલા પેશન્ટ રિકવરી રેટ સાથે કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારમાં ઉલ્લેખનીય કામગીરી કરી છે તેની વિગતો આપી હતી.
રાજ્યમાં આજની સ્થિતિમાં અંદાજે 14 હજાર એક્ટિવ કોરોના કેસ સામે 55 હજારથી વધુ લોકો સારવાર બાદ સાજા થઇ પોતાના ઘરે પણ ચાલ્યા ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ટેસ્ટ કોરોના અંગેના કરવામાં આવ્યા છે તેની છણાવટ કરતાં કહ્યું કે, રાજ્યની કુલ વસ્તીના સાપેક્ષમાં દરરોજ દર 10 લાખે 456 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આટલી મોટી સંખ્યામાં ટેસ્ટીંગની સુવિધાના હેતુસર 34 સરકારી લેબોરેટરી સાથે 59 લેબ કાર્યરત છે. આ ઉપરાંત દરેક જિલ્લા અને મહાનગરોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટની પણ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાતમાં લગભગ 47,000 કોવિડ બેડ તેમજ 2300 વેન્ટીલેટર્સ પણ કોરોના સંક્રમિતોની સઘન અને ત્વરિત સારવાર માટે કાર્યરત છે તેની વિગતે જાણકારી આપી હતી.
તેમણે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલો સાથે કોવિડ-19ના દર્દીઓને વિનામૂલ્યે ઇલાજ તેમજ અન્ય દર્દીઓના રાહત દરે સારવારના PPP મોડેલની સુપ્રીમ કોર્ટ, નીતિ આયોગ અને હાઇકોર્ટે પ્રસંશા કરી છે તેની વિગતો PM મોદીને આપી હતી. જ્યારે રાજ્યમાં મોબાઇલ મેડીકલ વાન-ધનવંતરી રથ દ્વારા નાગરિકોને ઘર આંગણે ઓ.પી.ડી. વ્યવસ્થા આપવામાં આવે છે તેની સફળતા વર્ણવતા કહ્યું કે, રાજ્યભરમાં આવા 1 હજારથી વધુ ધનવંતરી રથના માધ્યમથી એક મહિનામાં 52 લાખ લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાને કારણે થતા મૃત્યુદરમાં પણ 7.8 ટકાથી લઇને 2.1 ટકા સુધીનો ઘટાડો થયો છે તેમ મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું.