ગાંધીનગરઃ કોરોના વાઇરસના કારણે સ્વર્ણિમ સંકૂલ-1 અને સ્વર્ણિમ સંકૂલ-2માં બેસનારા પ્રધાનોને મળવું સામાન્ય માણસ માટે દુષ્કર બન્યું છે. જેથી ભાજપની સંસદીય સમિતિની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, દર સોમવારે અને મંગળવારે રાજ્યના વિવિધ ખાતાના પ્રધાનો બપોરે 1થી સાંજના 5 વાગ્યા સુધી કમલમ ખાતે બેસશે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8538212_t.jpg)
પ્રધાનોના કમલમ ખાકે બેસવાના કારણે ભાજપના કાર્યકરો અને સામાન્ય નાગરિકો પાસ લેવા જેવી ઝંઝટમાં પડ્યા વિના પ્રધાનોને રજૂઆત કરી શકશે. ત્યારબાદ રજૂઆત કરવા આવનારાનો જવાબ તેમને લેખિતમાં આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ખાતાના પ્રધાનો ફરિયાદ લેવા સમયે હાજર નહીં હોય, તો નાગરિકોની રજૂઆતો સાંભળી જે-તે પ્રધાન સુધી પહોંચાડવામાં આવશે.
પ્રથમ દિવસે રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાજપના કાર્યકરો અને નાગરિકોની રજૂઆત સાંભળી હતી.
ઉલ્લેખનીય છે કે, જ્યારે વિધાનસભાની પેટા-ચૂંટણી નજીક છે અને સ્થાનિક સ્વ-રાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પણ નજીક છે, ત્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ભૂમિકા પણ મહત્વની છે.