- પુસ્તકોની ખરીદીમાં કૌભાંડ થયાનો આક્ષેપ
- ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ દ્વારા કરાયો આક્ષેપ
- 25 કરોડથી વધુનું કૌભાંડ થયું છેઃ નરેશ શાહ
અમદાવાદઃ રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે પુસ્તકો ખરીદવામાં આવે છે, તેમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ દ્વારા કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે જે પણ વસ્તુ ખરીદવામાં આવે તે જેમમાં ખરીદવાની હોય છે, પરંતુ આ ખરીદી માત્ર વર્કઓડર દ્વારા કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા ગુજરાત વિશ્વકોષ પાસેથી આ ચોપડીઓ ખરીદવામાં આવી છે, તે ટેન્ડર વગર ખરીદવામાં આવી છે. ત્યારે આ કૌભાંડ વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતના એજ્યુકેશન સેક્રેટરી વિનોદ રાવ દ્વારા આચરવામાં આવ્યું છે તેવો આક્ષેપ નરેશ શાહ દ્વારા કરવામાં આવ્યો છે.
56 હજાર સેટોની ખરીદી માત્ર વર્કઓડરથી કરવામાં આવી
નરેશ શાહે જણાવ્યું કે, આ પુસ્તકોની કિંમત અંદાજીત 25 કરોડની એટલે કે એક સેટમાં ત્રણ ચોપડીઓ એવા 56 હજાર સેટોની ખરીદી માત્ર વર્કઓડરથી કરવામાં આવી છે. ત્યારે કોને ફાયદો કરાવવા આવી રીતે ખરીદી કરવામા આવી છે, તે એક મોટો પ્રશ્ન છે.
વાલી મંડળ દ્વારા મુખ્યપ્રધાનને રજુઆત કરાઈ
આ સમગ્ર મામલે વાલી મંડળ દ્વારા મુખ્યપ્રધાનને પણ રજુઆત કરવામાં આવી છે અને જો સરકાર કોઈ પગલા નહિ લે તો આગામી સમયમાં હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહ્યું.