અમદાવાદઃ અમદાવાદના ઘોડાસરની કેનાલની પાળી પરથી ઘાસચારો ચરતાં એકસાથે બે ગાયો પાણી પડી ગઈ હતી. સ્થાનિકો દ્વારા જીવદયા સંસ્થા, ગીતાબહેન બચુભાઈ રાંભિયા ટ્ર્સ્ટના કાર્યકરો અને તબીબોની મદદથી બન્ને ગાયોને બહાર કાઢી હતી.

ઘોડાસર કેનાલમાં બે ગાયો ગરકાવ થયાંની ઘટનામાં તેના માલિકો ડોકાયાં ન હતાં. ગાયોને દોહીને દૂધ વેચતાં ગાયમાલિકો કેનાલમાંથી ગાયોને બહાર કાઢીને તેની સારવાર કરાઈ ત્યાં સુધી ડોકાવાની તસ્દી પણ લીધી ન હતી. આ મામલે જીવદયાપ્રેમીઓએ ગાયમાલિકો પર ફીટકાર વરસાવ્યો હતો. બંને ગાયો કેમિકલયુક્ત પાણી પી જતાં બેભાન થઈ હતી. વેટરનરી ડોક્ટરોએ ગાયોને બાટલા ચડાવીને સારવાર કરી હતી.