અમદાવાદ : રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે અને અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાના રાયપુર ખાડીયામાં રહેતા પરિવારના ઘર આંગણે પાર્ક કરેલી ત્રણ રીક્ષા પર ભારે પવનને કારણે વિશાળ વૃક્ષ ધરાશાયી થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.

વૃક્ષની બાજુમાં આવેલા ઘરમાં રહેતા રાહુલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસમાં લોકો ગરમીના કારણે વૃક્ષ નીચે જ સૂતા હોય છે, પરંતુ ભારે પવન અને વરસાદના કારણે થોડા સમયથી જ ઘરમાં સૂવા જઇએ છીએ. જેના કારણે અમે લોકો બચી ગયા, પરંતુ રીક્ષાને નુકસાન થયું છે. વધુમાં જણાવ્યું હતુ કે કોરોનાને કારણે લગાવેલા લોકડાઉનને લીધે છેલ્લા ત્રણ મહિનાથી રીક્ષાઓ બંધ હતી, જેથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. હવે વૃક્ષ ધરાશાયી થવાના કારણે ત્રણ રીક્ષાને મોટું નુકસાન થયું છે. AMC દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે તે યોગ્ય થતી નથી. જેના કારણે અમારા જેવા લોકોએ હેરાન થવું પડે છે અને વરસાદથી પાણી પણ ભરાયેલા રહે છે. વૃક્ષો ધરાશાય થયા બાદ પણ કલાકો વીતી ગયા હોવા છતાં પણ કામગીરી થઇ નહતી. જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે.

સાયક્લોનીક સર્ક્યુલેશન અને થન્ડરસ્ટ્રોમના કારણે ભારે પવન સાથે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થયો છે. તેમજ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. થન્ડરસ્ટ્રોમના કારણે ભારે પવન ફૂંકાય છે, ત્યારે ભારે પવન સાથે વરસાદની આગાહી હોય જેથી લોકોએ પણ સતર્ક રહેવું જોઈએ.