અયોધ્યા: સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ લગભગ 9 મહિને રામમંદિરનું નિર્માણ ઓગસ્ટમાં શરૂ થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શનિવારે વડાપ્રધાન કાર્યાલયને 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલી હતી. મળતી મીડિયા પ્રમાણે, PMOએ 5 ઓગસ્ટની તારીખ પંસદ કરી છે. સમાચાર મળી રહ્યા છે કે, વડાપ્રધાન આ ભૂમિ પૂજનમાં સામેલ થઈ શકે છે. જેથી રામમંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 કે 5 ઓગસ્ટે અયોધ્યા જઇ શકે છે.

રામમંદિર નિર્માણ અંગે શનિવારે અયોધ્યાના સર્કિટ હાઉસમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક મળી હતી. આ બેઠકમાં નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતા નૃપેન્દ્ર મિશ્ર સહિત 12 સભ્ય હાજર રહ્યાં હતાં. આ બેઠક બાદ મંદિરના પ્લાનમાં થોડો બદલાવ કરાયો છે. જેથી હવે ત્રણના બદલે 5 ગોપુરમ હશે અને મંદિરની ઊંચાઇ 140 ફૂટની જગ્યાએ 161 ફૂટ હશે.
કહેવાઈ રહ્યું છે કે, શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ દરમિયાન વડાપ્રધાન તાંબાના કળશને સ્થાપિત કરશે. વડાપ્રધાનના હાથે વૈદિક પૂજન પછી મંદિર નિર્માણકાર્ય શરૂ કરાશે. આ પહેલા મંદિરની ઊંચાઈ 128 ફૂટ રખાઈ હતી, પરંતુ હવે થોડો બદલાવ કરી મંદિરની ઊંચાઈ 161 ફૂટ કરવાની વાત કરાઈ છે.
કહેવાઈ રહ્યું છે કે, મંદિરમાં 3 ગોપુરમની જગ્યાએ 5 ગોપુરમ રાખવામાં આવશે. અયોધ્યામાં રામમંદિર બનાવવા કોરોના સંકટ હટ્યા બાદ 10 કરોડ પરિવારો પાસેથી દાનનું અભિયાન ચલાવાશે. ફંડ એકઠું કર્યા બાદ મંદિર નિર્માણ સાથે જોડાયેલું ડ્રોંઈગ ખતમ થયા પછી 3 સાડા ત્રણ વર્ષમાં મંદિરનું નિર્માણ પુરુ થઈ જશે. આમ, મંદિર નિર્માણકાર્ય શરૂ થયા બાદ ભવ્ય રામ મંદિર 2023 સુધીમાં તૈયાર થઈ જશે.

ટ્ર્સ્ટની બેઠક બાદ ચંપત રાયે કહ્યું કે, જ્યાં મંદિર બનવાનું છે, એ સ્થળ પરથી કાટમાળ હટાવીને સમતલ બનાવાયું છે, જે અવશષે જમીનમાંથી મળ્યા છે, તે ઘણા લોકોએ જોયા છે. 60 મીટર ઊંડાઈ સુધી ખોદકામ કરીને જમીનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, જ્યારે મંદિર બનાવવા માટે જમીનનું સ્થળીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારે કેટલાક અવશષો જમીનમાંથી મળી આવ્યાં હતાં.
મહત્વનું છે કે, રામમંદિરનું ટ્ર્સ્ટ બન્યા આ બીજી બેઠક હતી. આ બેઠકમાં 5 મુદ્દાઓ અંગે વાતચીત થઇ હતી. જેમાં સૌથી પહેલા મંદિર નિર્માણ માટે શિલાન્યાસની તારીખ નક્કી કરવી, વડાપ્રધાનને ભૂમિપૂજન માટે બોલાવવા, મુખ્ય ગર્ભગૃહની ડિઝાઇન તૈયાર કરવી, 70 એકડ પરિસરના વિસ્તાર પર સૂચનો લેવા અને 108 એકડ કરવા અંગે સહમતિ સાધવી, પરિસરમાં સીતા મંદિરના નિર્માણ અંગે ચર્ચા કરાઈ હતી.