નવી દિલ્હીઃ બિહારના એક સંસદીય વિસ્તારમાં અને મણિપુરની 2 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી 7 નવેમ્બરે યોજાશે. છ્ત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની 54 બેઠક પર પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. આ ઉપરાંત મતગણતરી 10 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
આસામ, કેરલ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખ જાહેર કરાઇ નથી. આ રાજ્યોના મુખ્ય સચિવ, મુખ્ય ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, હાલના સમયમાં ચૂંટણીનું આયોજન મુશ્કેલીભર્યું છે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશની સ્વાર સીટ પર પેટાચૂંટણીને લઇને પણ કઇ જાહેરાત કરવામાં આવી નથી. આ સાથે જ આસામની રંગપારા, સિબસાગર, કેરલની કુટ્ટનાદ અને ચવારા, તમિલનાડુની તિરુપોટિયૂર અને ગુડિયાટ્ટમ અને બંગાળની ફલકટ બેઠક પર ચૂંટણી નહીં યોજાઇ.
ચૂંટણી આયોગે કેટલાંક રાજ્યોમાં પેટાચૂંટણીના આયોજનને લઇ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પેટાચૂંટણી બિહારની પેટાચૂંટણીના આસપાસના સમયમાં યોજવાનું આયોજન હતું. દેશભરના અલગ-અલગ રાજ્યોમાં વિધાનસભાની કુલ 65 અને 1 સંસદીય બેઠક ખાલી છે.
ચૂંટણી આયોગે ચોમાસાની સિઝન અને દેશમાં કોરોનાની મહામારીને ધ્યાને લઇ આ નિર્ણય કર્યો છે. ચૂંટણી આયોગે દેશભરમાં એક સાથે બિહાર વિધાનસભા અને 65 બેઠક પર પેટાચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે.