ન્યૂઝ ડેસ્ક: નેશનલ જિયોફિઝીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)એ જિયોફિઝીકલ એક્સપ્લોરેશનની સુવિધા પૂરી પાડતી નવી ટેકનોલોજી વિકસાવી છે. તેણે મિનરલ એક્સપ્લોરેશન, જિયોલોજિકલ (ભૂસ્તરીય) સ્ટ્રક્ચરના વર્ણન અને બેઝમેન્ટની સ્થળ રૂપરેખા (ટોપોગ્રાફી)ના આલેખન માટે ડ્રોન આધારિત મેગ્નેટિક એક્સપ્લોરેશન સિસ્ટમ તૈયાર કરી છે. વર્કફ્લો વિકસાવવાની સમગ્ર ડિઝાઇન સ્વયં NGRI દ્વારા હાથ ધરવામાં આવી હતી. CSIR-NGRIના ડિરેક્ટર ડો. વી. એમ. તિવારીએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી સમય બચાવશે અને અંતરિયાળ વિસ્તારોમાં સંશોધનની પ્રક્રિયાને ઝડપી બનાવશે. 11મી ઓક્ટોબરના રોજ સંસ્થાની રજત જયંતિ નિમિત્તે, ઇનાડુએ ડો. તિવારીની મુલાકાત લીધી હતી, જેના અંશો અહીં પ્રસ્તુત છેઃ
જિયોફિઝિકલ રિસર્ચમાં ટેકનોલોજીનો કયા સ્તર પર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે?
ભૂગર્ભ જળ વિશે ભાળ મેળવવામાં, મિનરલ્સ અને હાઇડ્રોકાર્બન્સની શોધખોળ કરવામાં અને સિસ્મિક ઝોન શોધવામાં ટેકનોલોજી મહત્વનો ભાગ ભજવે છે. અમે ઘણી કામગીરી માટે મેગ્નેટિક સર્વે હાથ ધરીએ છીએ. શરૂઆતમાં સંશોધકો ટેકનોલોજી વિના પોતાની મેળે ખનીજો અને ભૂગર્ભજળ શોધતા હતા. થોડાં વર્ષો અગાઉ, અમે હેલિકોપ્ટરની પાછળ જોડેલા મેગ્નેટોમીટરથી સર્વે હાથ ધર્યા હતા. તે એક ખર્ચાળ અને સમય માગી લેનારી પ્રક્રિયા હતી. આથી, NGRIએ ડ્રોન અથવા તો માનવરહિત (અનમેન્ડ) એરિયલ વ્હીકલ (UAV) આધારિત મેગ્નેટિક એક્સપ્લોરેશન સિસ્ટમ વિકસાવી હતી. ભારતમાં આ પ્રકારની તે પ્રથમ સિસ્ટમ છે. અમે UAV મેગ્નોમીટરનો ઉપયોગ કરીને યચારામ (હૈદરાબાદનાં પરાંવિસ્તારમાં આવેલું એક ટાઉન)નો સર્વે કર્યો હતો અને સર્વેનાં પરિણામો ચોકસાઇપૂર્ણ હતાં. આ ટેકનોલોજીના કારણે અંતરિયાળ, પર્વતાળ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જિયોફિઝિકલ એક્સપ્લોરેશનના અભ્યાસો હાથ ધરવાનું સરળ બન્યું છે.
છ દાયકાના સિસ્મીક અભ્યાસો વિશે આપનો શું અભિપ્રાય છે?
વર્તમાન સમયમાં, આપણે માત્ર સિસ્મિક ઝોનની ઓળખ કરી શકીએ છીએ અને આંચકાની તીવ્રતા વિશે જાણી શકીએ છીએ. ધરતીકંપની આગાહી કરી શકે, તેવી ટેકનોલોજી વિકસાવવાની બાકી છે. સિસ્મોલોજીકલ સંશોધનમાં GPS, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે.
દેશમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. તમારા સંશોધન દરમિયાન, શું તમે પાણીની તંગીના નિવારણ માટે કોઇ વ્યૂહરચના ઘડી છે?
પાણીની સમસ્યા દૂર કરવાનો સૌથી ઝડપી અને અસરકારક માર્ગ ઘટી ગયેલા ભૂગર્ભજળને માનવસર્જિત રીતે રિચાર્જ કરવાનો છે. NGRIએ આ પ્રક્રિયા થકી ભૂગર્ભ જળનું સ્તર વધારવામાં મદદ કરી છે. સપાટીનું પાણી કઇ જગ્યાએથી ભૂગર્ભમાં ઝમે છે અથવા તો જે-તે પ્રદેશ ખડકાળ છે કે કેમ, વગેરે બાબતોની સમજૂતી મેળવવી અનિવાર્ય છે. આ તમામ પરિબળોનો અભ્યાસ કરવામાં આવે, ત્યારે જ વરસાદી પાણીના કાર્યક્ષમ જળ સંચયનું કાર્ય પાર પાડી શકાય. જો આપણે જાણતાં હોઇએ કે, કેટલું પાણી જમીનની અંદર સ્રવે છે અને જળભૃત સુધી પહોંચે છે, તો આપણે વિવિધ પાક માટે પાણીની જરૂરિયાતોનું આકલન કરી શકીએ છીએ.
શું તમારી સંસ્થા આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં કોઇ સંશોધન કરી રહી છે?
અમે આંધ્ર પ્રદેશના કોવ્વડામાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ઊભો કરવા માટે સંબંધિત મંત્રાલય સાથે કામગીરી કરી રહ્યાં છીએ. વર્તમાન સમયમાં તેલંગણામાં અમારો કોઇ પ્રોજેક્ટ નથી. અમરાબાદના યુરેનિયમ એક્સપ્લોરેશન પ્રોજેક્ટમાં અમે સામેલ નથી. અમે ઓડિશા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં એક્સપ્લોરેશનનાં કાર્યો તપાસી રહ્યાં છીએ.
તમારા આગામી પ્રોજેક્ટ્સ વિશે જણાવશો?
આત્મનિર્ભર ભારતના ભાગરૂપે, અમે દેશનાં કુદરતી સંસાધનોની શોધખોળ કરવા માટે જરૂરી ઉપકરણો અને ટેકનોલોજી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
જિયોફિઝિક્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે આ ક્ષેત્ર કેવું છે?
આ ક્ષેત્રે અઢળક તકો રહેલી છે. થોડાં વર્ષો અગાઉ, આઇઆઇટી ખડગપુરમાં અભ્યાસ કરતા ઇન્ટિગ્રેટેડ જિયોફિઝિક્સ એન્જિનીયરિંગના એક વિદ્યાર્થીએ કેમ્પસ પ્લેસમેન્ટમાં સૌથી ઊંચું પેકેજ મેળવ્યું હતું. આ ઉપરાંત વિદેશમાં પણ કારકિર્દીના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. ઓઇલ, ગેસ, પેટ્રોલિયમ અને કોલસા ઉદ્યોગો કામની ઘણી તકો ઓફર કરે છે. આ ક્ષેત્રોમાં વેલ્યૂ ચેઇનના દરેક સ્તરે સ્ટાર્ટ-અપ્સ મોજૂદ છે.