નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાથી હાલત ખરાબ થઈ રહી છે. જેની તપાસ હવે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ સુધી આવી ગઈ છે. સીએમ કેજરીવાલમાં કોરોના જેવા લક્ષણો જોવા મળી રહ્યા હતા. જે બાદ તેમને આઈસોલેટ કરવામાં આવ્યા છે. મંગળાવારે સવારે તેમનો કોરોના ટેસ્ટ થયો હતો. ત્યારે હવે રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી જે હાલ નેગેટીવ આવ્યો છે. હવે દિલ્હી વાસીઓ માટે કોરોના સામે લડવા કેજરીવાલ ફરીથી મેદાનમાં આવી જશે.
અરવિંદ કેજરીવાલની તબિયતને લઈ જેવી ખબર આવી કે, ત્યાર બાદ તેમના સ્વાસ્થ્યને લઈ અનેક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી. દિલ્હીમાં ભાજપના નવા અધ્યક્ષ આદેશ ગુપ્તા અને જૂના દોસ્ત કુમાર વિશ્વાસે પણ કેજરીવાલના જલ્દી સારા સ્વાસ્થ્યની કામના કરી છે. તો કેજરીવાલે પણ પોતાની તમામ મીટિંગો રદ કરી દીધી હતી અને પોતાની જાતને આઈસોલેટ કરી દીધા છે.
બીજી બાજુ દિલ્હીમાં કોરોનાની રફ્તાર પણ વધી રહી છે. લગભગ 29 હજારની આસપાસ રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા થઈ ગઈ છે. જ્યારે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે આવા સમયે દિલ્હી સરકારે દાવો કર્યો છે કે, 15 દિવસમાં બેડની સંખ્યા ડબલ કરી દેવામાં આવશે.
તો વળી આ તમામની વચ્ચે દિલ્હીની હોસ્પિટલોમાં બહારના લોકોની સારવાર રોકવાને લઈ કેજરીવાલના આદેશને એલજી અનિલ બૈજલે બદલી કાઢ્યો છે. ત્યાર બાદ રાજનીતિ ગરમાઈ ગઈ છે.