ન્યૂઝ ડેસ્ક : ન્યૂયોર્કના બ્રોન્ક્સ ઝૂ ખાતે રાખવામાં આવેલી ચાર વર્ષની મલાયન વાઘણ નાદિયાને તાજેતરમાં જ કોવિડ-19 થયો હોવાનું નિદાન થયું, તે સાથે હવે આ ઘાતક વાઇરસના સંભવિત યજમાન તરીકે ધીમે-ધીમે માનવીમાંથી પ્રાણીઓ તરફ વળી રહેલો ઝોક ચિંતાનું કારણ બન્યો છે.
કોરોનાનાં લક્ષણ ધરાવનારા ઝૂકીપરના સંપર્કમાં આવવાથી નાદિયાને આ ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવે છે.
અમેરિકામાં કોઇ પ્રાણીને ઇન્ફેક્શન થયાનું માલૂમ પડ્યું હોય, તેવો નાદિયાનો પ્રથમ કેસ ગણવામાં આવે છે, પરંતુ આ એકમાત્ર કેસ હોય તેવું નથી.
વિશ્વના અન્ય ભાગોમાં પણ પાલતૂ પ્રાણીઓના કોરોનાવાઇરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાના અન્ય કિસ્સા નોંધાયા છે.
માનવી થકી પ્રાણીઓમાં સંક્રમણ
OIE – વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 વાઇરસનું ઇન્ફેક્શન માનવ વસ્તીમાં વ્યાપકપણે ફેલાઇ ચૂક્યું છે, ત્યારે કેટલાંક પ્રાણીઓ ચેપ ધરાવતી વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી આ બિમારીનો બોગ બને તેવી શક્યતા રહેલી છે.
આવો એક કિસ્સો હોંગકોંગના 17 વર્ષના પોમેરેનિયનનો છે, જેને તેના માલિક થકી કોવિડ-19નું ‘લો લેવલનું’ ઇન્ફેક્શન થયું અને થોડા સમય બાદ તે મોતને ભેટ્યો હતો.
અન્ય એક કિસ્સામાં, બેલ્જીયમમાં એક પાલતૂ બિલાડીનો કીપર કોવિડ-19નો પોઝિટિવ દર્દી હતો અને તેનો ચેપ બિલાડીને લાગ્યો હતો. બિલાડી સતત ઊલટી કરતી હતી અને તેને શ્વાસોચ્છવાસની તકલીફ સર્જાઇ હતી.
વર્તમાન સમયમાં વિવિધ પ્રજાતિનાં પ્રાણીઓમાં કોવિડ-19ના વાઇરસ ફેલાવાની શક્યતા અંગે અભ્યાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
OIE – વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમિલ હેલ્થ દ્વારા તેના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, “માનવી દ્વારા ચેપનો ભોગ બનેલાં પ્રાણીઓ કોવિડ-19ના પ્રસારમાં ભૂમિકા ભજવી રહ્યા હોવાના અત્યારે કોઇ પુરાવા નથી. માનવીય પ્રસાર વ્યક્તિથી વ્યક્તિ સાથેના સંપર્ક દ્વારા ફેલાય છે.” તેમ છતાં, નિષ્ણાતોએ એ બાબત પર ભાર મૂક્યો છે કે, માનવી દ્વારા ચેપનો ભોગ બનનારાં પ્રાણીઓ આ બિમારીને આગળ પ્રસરાવી શકે છે કે કેમ તે અંગેના કોઇ પુરાવા મોજૂદ નથી.
વાઇરસનો ભોગ બનવાની શક્યતા ધરાવતાં લોકપ્રિય પાલતૂ પ્રાણીઓ
ચાઇનિઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિઝ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસો પ્રમાણે, રીસસ મકેક્સ પ્રજાતિના વાનર આ વાઇરસનો ભોગ બની શકે છે.
એક કરતાં વધુ અભ્યાસો સૂચવે છે કે, ફેરેટ અને બિલાડીઓને કોરોનાવાઇરસ બિમારી (કોવિડ-19)નો ચેપ લાગી શકે છે કે કેમ, તે શંકાનો વિષય છે, ત્યારે ડીડબલ્યુ દ્વારા ટાંકવામાં આવેલા અન્ય એક અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે, બિલાડીઓ તરત જ એન્ટિબોડી વિકસાવી શકે છે.
શ્વાનમાં બિલાડીની માફક આ વાઇરસ ફેલાતો હોવાની શંકા ન હોવા છતાં, શ્વાન આ વાઇરસનો ભોગ બની શકે છે.
તે જ રીતે, બતક, મરઘી અને પિગ (ભૂંડ)ના કિસ્સામાં ચીનમાં હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર, તેઓમાં આ બિમારી લાગુ પડતી નથી.
શું લોકોમાં કોવિડ-19ની બિમારી ફેલાવા પાછળ પ્રાણીઓ જવાબદાર છે?
OIE – વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમિલ હેલ્થના મતે, કોવિડ-19ના સંક્રમણ માટેનો મુખ્ય રૂટ વ્યક્તિથી વ્યક્તિ છે.
વર્તમાન પુરાવા સૂચવે છે કે, કોવિડ-19 વાઇરસ પ્રાણીના સ્રોતમાંથી ઉદ્ભવ્યો હતો. તે સ્રોત અને આ બિમારીમાં પ્રાણીના કોશની સંભવિત ભૂમિકા પ્રસ્થાપિત કરવા માટેની તપાસ ચાલી રહી છે. જોકે, સ્રોતની ઓળખ કરવા માટે અથવા તો પ્રાણીના સ્રોતથી માનવીમાં પ્રસરણના મૂળ રૂટ અંગે સમજૂતી આપવા માટેના કોઇ પૂરતા વૈજ્ઞાનિક પુરાવા મોજૂદ નથી.
જિનેટિક સિક્વન્સ ડેટા દર્શાવે છે કે, કોવિડ-19 વાઇરસ રિનોલોફસ બેટ (હોર્સશૂ ચામાચીડિયા)ની વસ્તીમાં જોવા મળેલા અન્ય CoV સાથે નિકટનો સંબંધ ધરાવે છે. માનવીમાં થયેલા સંક્રમણમાં અન્ય કોઇ મધ્યમ યજમાન સામેલ હોય, તે શક્યતા અવગણી શકાય નહીં.
તમારા પાલતૂ પ્રાણીનું રક્ષણ કેવી રીતે કરશો?
- ચેપ ધરાવનારી વ્યક્તિએ પાલતૂ તથા અન્ય પ્રાણીઓ સાથેનો પોતાનો સંપર્ક નિયંત્રિત કરી દેવો જોઇએ.
- જ્યારે શક્ય હોય ત્યારે, તમે બિમાર હોવ ત્યારે ઘરનો અન્ય કોઇ સભ્ય તમારાં પ્રાણીઓની કાળજી રાખે તેવી વ્યવસ્થા કરવી.
- તમારા પાલતૂ પ્રાણીને પંપાળવાનું, તે તમારી પાસે આવીને સૂઇ જાય, આળોટે, તે તમને ચાટે અથવા તો તમે તેને કિસ કરો, તેની સાથે ભોજન વહેંચો, વગેરે સ્થિતિ ટાળવી.
- જો તમારે તમારા પ્રાણીની કાળજી લેવી જ પડે તેમ હોય, તો તેવી સ્થિતિમાં પ્રાણીઓના સંપર્કમાં આવતાં પહેલાં અને ત્યાર બાદ હાથ ધોઇ લેવા.