લખનઉ: ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ અને 32 આરોપીઓ આજે લખનઉની વિશેષ સીબીઆઈ કોર્ટમાં હાજર થઈ શકે છે. અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદિત માળખાને તોડવાના કેસમાં સુનાવણી કરતી વિશેષ સીબીઆઈ કોર્ટે આ કેસમાં આજે નિવેદન નોંધવાની તારીખ નક્કી કરી છે.
સીબીઆઈની વિશેષ અદાલતમાં કોર્ટની સુનાવણી દરમિયાન આજે ગુરુવારે વિનય કટિયાર, પવન પાંડે, વેદાંતી ધર્મદાસ, વિજય બહાદુર, સંતોષ દુબે સહિત સાત લોકો હાજર રહેશે. મુરલી મનોહર જોશી, અડવાણી અને સાધ્વી ઋતમ્ભરા આજે હાજર નહીં થાય.

28 મેના રોજ થયેલી સુનાવણીમાં સીબીઆઈ કોર્ટે કહ્યું હતું કે, 4 જૂને તમામ આરોપીઓના નિવેદનો નોંધવામાં આવશે. કોર્ટે આરોપીને પણ કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
કલમ 133 અંતર્ગત થશે પૂછપરછ
સીબીઆઈની વિશેષ અદાલતમાં બચાવ પક્ષના વકીલ કે.કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, સીઆરપીસીની કલમ 313 હેઠળ આરોપીઓ સમક્ષ સીબીઆઈ અને સાક્ષીઓએ રજૂ કરેલા પુરાવા અને તેના આધારે કોર્ટ સવાલ -જવાબ કરશે.
જ્યાં સુધી લાલકૃષ્ણ અડવાણી અને અન્ય આરોપીઓની વાત છે, તે લોકો આ સમયે રાજ્યની બહાર છે અને ધીરે-ધીરે જ્યારે સુનાવણીની પ્રક્રિયા આગળ વધશે, ત્યારે તે લોકો આવશે અને કોર્ટ પ્રક્રિયા પૂરી થશે.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા, સાક્ષી મહારાજ, રામ વિલાસ વેદાંતી અને બ્રિજ ભૂષણ શરણસિંહ સહિત 32 લોકો પર આરોપ છે.
6 ડિસેમ્બર, 1992 ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ પર પ્રભાવી ટોળાએ હુમલો કર્યો હતો અને તેનું બાંધકામ તોડી પાડ્યું હતું. આ પછી આ મામલામાં અનેક કેસ નોંધાયા હતા.
આ કેસ સીબીઆઈને સોંપાયા બાદ તપાસ બાદ તેણે 49 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 17 લોકોની મોત થઇ ચૂકી છે.