સુરત: ઓલપાડ તાલુકાના સોંદામીઠા તેમજ વડોદ ગામની સમરસ ગ્રામ પંચાયતના 2 મહિલા સરપંચોને આગામી તા.૨૬ મી જાન્યુઆરીએ યોજાનારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દિલ્હી ખાતે થનારી ઉજવણીમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ મળ્યું છે. જેના પગલે સુરત સહિત ઓલપાડ તાલુકાના ગૌરવમાં વધારો થતાં બંન્ને મહિલા સરપંચે ખુશીની લાગણી વ્યક્ત કરી છે.
ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગ્રામ પંચાયતમાં સરપંચ દિક્ષાબેન પૃથ્વીરાજસિંહ ઠાકોર અને વડોદ ગ્રામ પંચાયમમાં શિતલબેન આશિષ દેસાઈ બંન્ને સમરસ મહિલા સરપંચો સુંદર વહીવટ કરી રહ્યાં છે. આ બંન્ને ગામોમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. જો કે આ સમસ્યા નિવારવા સરકારની વાસ્મો અંતર્ગત ‘જલ સે નલ’ યોજનામાંથી ગ્રાન્ટ મંજુર થતાં આ બંન્ને સરપંચોએ સુંદર કામગીરી બજાવી ગામના લોકોના ઘર સુધી નળ દ્વારા દિવસ દરમિયાન પાણી પહોંચાડવામાં સફળ થયા હતા.
આ વિશિષ્ટ કામગીરીની નોંધ રાજ્ય અને દિલ્હીની કેન્દ્ર સરકારે લઈ આ સુંદર કામગીરી બદલ બંન્ને સમરસ મહિલા સરપંચોને આગામી તા.૨૬ મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝીટ તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે,આ સમારોહમાં હાજર રહેવા ગુજરાત રાજ્યના માત્ર ૪ જિલ્લાઓ કચ્છ,અમદાવાદ, નવસારી અને સુરત જિલ્લાની મહિલા સરપંચો પૈકી ઓલપાડ તાલુકાના ૨ ગામની મહિલાઓને જલશક્તિ અને રક્ષા મંત્રાલય દ્વારા દિલ્હી ખાતેથી આમંત્રણ મળ્યું છે. આ બંન્ને મહિલા સરપંચોએ ગ્રામજનોને પીવાના પાણી માટે કરેલ કામગીરીની નોંધ છે કે, દિલ્હી સુધી લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકારના જળ સંપત્તિ અને રક્ષા મંત્રાલય સહિત રાજ્યમંત્રી મુકેશ પટેલનો ગ્રામજનો વતી આભાર માની આવનારા દિવસોમાં પણ આ યોજનાને વધુ ગતિશીલ બનાવવાની ખાત્રી આપી હતી.