રાજકોટ: આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ છે. રાજકોટ બેઠકને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટની લોકસભા બેઠક ઉપરથી ભાજપના જ ઉમેદવાર સતત વિજેતા થાય છે. આ રાજકોટ લોકસભા બેઠક કડવા પાટીદાર સમાજના ઉમેદવારોની બેઠક માનવામાં આવે છે પરંતુ આ વખતે લેઉવા પાટીદાર સમાજ પણ રાજકોટ બેઠકના પર પોતાની જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. વર્તમાન સાંસદ મોહન કુંડારીયા છેલ્લી બે ટર્મથી રાજકોટ લોકસભાની બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેઓ કડવા પાટીદાર સમાજના છે. અત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના પ્રબળ દાવેદાર ડો. ભરત બોઘરા માનવામાં આવી રહ્યા છે. જોકે દર વખતે ભાજપ કંઈક નવું કરવા માટે જાણીતો છે એવામાં રાજકોટ બેઠક ઉપર પણ ભાજપ કોઈ નવો ચહેરો મૂકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
ભાજપની પરંપરાગત બેઠકઃ રાજકોટ લોકસભા સદંર્ભે વરિષ્ઠ પત્રકાર કાના બાટવાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે કેશુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર નહોતા છતાં પણ રાજકોટની લોકસભા બેઠક પરથી તેઓ જીત્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ ઉમેદવાર ભાજપનો હોય તે આ બેઠક ઉપરથી જીત્યો છે. રાજકોટ લોકસભા બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક છે. જ્યારે એવું પણ માનવામાં આવે કે અહીંયા કોઈપણ સામાન્ય ઉમેદવારને ઉભો રાખવામાં આવે, તેમજ ભાજપ તરફથી તેમજ ચૂંટણી પ્રચાર પણ ન કરવામાં આવે તેમ છતાં પણ આ બેઠક ઉપરથી ભાજપનો ઉમેદવાર જીતી શકે છે. હાલ એ પ્રકારની પરિસ્થિતિ રાજકોટ લોકસભા બેઠકની છે. જ્યાં ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે.
છેલ્લી બે ટર્મથી ભાજપનો તમામ બેઠકો પર વિજયઃ કાના બાટવાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લી બે ટર્મથી ગુજરાતની તમામ 26 એ 26 બેઠક ભાજપને ફાળે જાય છે. જેના કારણે લોકસભાની ચૂંટણીમાં હવે ગુજરાતની 26એ 26 બેઠક પરંપરાગત રીતે ભાજપની માનવામાં આવે છે. એવામાં ખાસ કરીને રાજકોટ લોકસભાની બેઠક પર મજબૂત સ્થિતિમાં ભાજપ છે. આ બેઠક ઉપર દાવેદારો તો ઘણા છે પરંતુ ભાજપ પક્ષને રાજકોટ લોકસભા બેઠક ઉપરથી જીતે અહીંયા જેને ટિકિટ મળી જાય તે જીતી જાય છે. જ્યારે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારો કેટલા મજબૂત છે અને જીતી શકશે કે કેમ આ તમામ સમીકરણો જોવા મળતા હોય છે પરંતુ રાજકોટ લોકસભાની બેઠક ઉપર આ એક પણ પ્રકારના સમીકરણો જોવા મળતા નથી.
લેઉવા પાટીદાર સમાજને ટિકિટ મળે તેવી અપેક્ષાઃ રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપ દ્વારા કોને સાચવવા છે અથવા તો અહીંથી જે જીતશે તે પક્ષને કેવી રીતના મજબૂત કરશે અને લોકોના કામ કરશે તેવા ઉમેદવારને જે ટિકિટ આપવામાં આવશે. જ્યારે રાજકોટ લોકસભા બેઠકના વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને રીપીટ કરાય તેવી કોઈ શક્યતા નથી. આ સાથે જ 26 બેઠકો ઉપર ભાજપ માંથી મોટાભાગે નવા ચહેરાઓ સામે આવશે. તેમ રાજકોટમાં પણ કોઈ નવો ચહેરો જ સામે આવે તેવી પૂરીપૂરી શક્યતાઓ છે. જ્યારે રાજકોટની લોકસભા બેઠક પરંપરાગત રીતે કડવા પાટીદારોની લોકસભા બેઠક માનવામાં આવે છે પરંતુ હવે લેઉવા પાટીદારોમાં પણ એવી અપેક્ષા જોવા મળી રહી છે કે અમને પણ આ બેઠક ઉપરથી પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ મામલે એક સમયે સી.આર. પાટીલે કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશ ઉકાણીને જાહેરમાં જ લોકસભામાં મોકલવાની વાત કરી હતી.
મોદી હર હંમેશ નવું કરવા માટે પંકાયેલાઃ નરેન્દ્ર મોદી હર હંમેશ અન અપેક્ષિત નામો લઈ આવવા માટે પંકાયેલા છે. લોકોને આશ્ચર્યમાં નાખતા હોય છે. જેને લઈને રાજકોટ લોકસભાની બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારનું જે નામ સામે આવશે તે પણ અન અપેક્ષિત હોઈ શકે છે અથવા તો જે કોઈનું નામ હાલ ચર્ચા રહ્યું છે તેમાંના એક પણ હોઈ શકે છે. સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન જ્ઞાતિ સમીકરણો પણ જોવામાં આવતા હોય છે એવામાં રાજકોટ લોકસભા વિસ્તારમાં ભાજપનું સંગઠન ખૂબ મજબૂત માનવામાં આવે છે. દેશમાં જનસંઘના સમયથી આ આખો વિસ્તાર ભાજપનો માનવામાં આવે છે. અગાઉ જનસંઘ હતું જે બાદમાં ભાજપ થઈ ગયું ત્યારથી લોકો ભાજપ તરફ જ વળ્યા છે અને અહીંયા સંગઠન શક્તિ ખૂબ મજબૂત માનવામાં આવે છે.
રાજકોટ બેઠક પરથી જ જનસંઘનો દેશમાં પગપેસારોઃ જ્યારે દેશમાંથી જ લોકસભાની વાત કરવામાં આવે કે વિધાનસભાની વાત કરવામાં આવે આ તમામ ચૂંટણીઓમાં જનસંઘ અને ભાજપ દ્વારા રાજકોટમાંથી પ્રવેશ કરવામાં આવ્યો હતો. અહીંયા ભાજપની એટલી બધી પકડ છે શહેરના વિવિધ વિસ્તારોમાં શેરીએ શેરીએ તે જોવા મળતી હોય છે. સંગઠન શક્તિના કારણે જ રાજકોટ બેઠક ઉપરથી ભાજપના કોઈપણ ઉમેદવાર સામાન્ય રીતે જીતી શકે છે. જ્યારે રાજકોટ લોકસભા બેઠક એવી છે કે જે આગામી લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખથી વધુની લીડ પણ ખૂબ સહેલાઈથી કાઢી શકે છે. એવામાં હવે જોવાનું રહેશે કે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપ પોતાના કયા ઉમેદવારને ચૂંટણી લડાવશે.
જ્યારે કેશુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર નહોતા છતાં પણ રાજકોટની લોકસભા બેઠક પરથી તેઓ જીત્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ ઉમેદવાર ભાજપનો હોય તે આ બેઠક ઉપરથી જીત્યો છે. રાજકોટ લોકસભા બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક છે. જ્યારે એવું પણ માનવામાં આવે કે અહીંયા કોઈપણ સામાન્ય ઉમેદવારને ઉભો રાખવામાં આવે, તેમજ ભાજપ તરફથી તેમજ ચૂંટણી પ્રચાર પણ ન કરવામાં આવે તેમ છતાં પણ આ બેઠક ઉપરથી ભાજપનો ઉમેદવાર જીતી શકે છે...કાના બાટવા(વરિષ્ઠ પત્રકાર, રાજકોટ)