ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી 14 અને 15 માર્ચના રોજ ફાગણી પુનમનો મેળો યોજાનાર છે. જેને લઇને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારૂ રૂપે શાંતિપૂર્ણ વાતાવરણમાં મેળો યોજાય તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ફાગણી પૂનમના મેળા દરમિયાન વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ડાકોર પધારશે. જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા તથા યાત્રાળુઓની સુવિધા અને સલામતીના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ડાકોર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં સમગ્ર મેળા દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી જળવાઈ રહે તે માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા. ખાસ કરીને, દર્શન કરતી વખતે થતી ભાગદોડ રોકવા માટેના ખાસ આયોજન તથા આડબંધ સુચારૂ સંચાલનની કામગીરી તથા ધક્કામુક્કી, નાસભાગ જેવી કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે આગોતરું આયોજન ગોઠવા અંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.
7 પોલીસ સહાયતા કેન્દ્રનું આયોજન: CCTV અને PTZ કેમેરા દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કોઈ આકસ્મિક બનાવ બને તો તેને પહોંચી વળાય તે હેતુસર ઈલેકટ્રોનીક સર્વેલન્સ અંગેની કામગીરી કરવા અંગે સૂચિત કરવામાં આવ્યા. ગોમતી તળાવ ફરતે તથા ગળતેશ્વર મંદિર અને નદી પટ્ટ વાળા વિસ્તારમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે પણ આયોજન કરવામાં આવશે. ડાકોર ફાગણી પૂનમ મેળા દરમિયાન ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે 7 પોલીસ સહાયતા કેન્દ્રનું આયોજન કરવામાં આવશે. ફાગણી પૂનમ મેળા દરમિયાન પોલીસ બંદોબસ્ત કુલ 8 સેક્ટરમાં વહેંચવામાં આવશે અને દરેક સેક્ટરોમાં સુપરવિઝન તરીકે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી રહેશે.
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મેળા દરમિયાન વાહન ચાલકોએ અને રાહદારીઓએ શું કરવું અને શું ના કરવું જોઈએ, તે અંગેના વિગતવાર સૂચનો સાથેના બોર્ડ જાહેરમાં યાત્રાળુઓ સહેલાઈથી જોઈ અને વાંચી શકે તે રીતે લગાવવા આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. મેળાના સમય દરમિયાન ટેલિફોન સેવા નિરંતર ચાલુ રહે તે માટે તથા સેલ્યુલર કંપનીઓના નેટવર્ક ખોરવાય નહી અને સરળતાથી તેનું સંચાલન થાય તે માટે માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડની ટીમ હાજર રહેશે: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાગણી પૂનમના મેળા દરમિયાન ડાકોર અને ગળતેશ્વર ખાતે ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે હાજર રાખવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ, આ બંને જગ્યાઓ પર કુશળ તરવૈયાઓની ટીમો તૈનાત કરાવવામાં આવશે. ગોમતી ઘાટની સ્વચ્છતા બાબતે ખાસ આગોતરૂ આયોજન હાથ ધરવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે. ગોમતી ઘાટ અને તળાવ ફરતે યાત્રિકોની સલામતી અને સુરક્ષાના આગોતરા પગલા તરીકે પૂરતુ બેરીકેડીંગ તથા પૂરતા પ્રમાણમા લાઈટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.
પદયાત્રીઓની સુરક્ષા અને રખડતા ઢોર નિયંત્રણ માટે સૂચના: સમગ્ર ડાકોરમાં તથા ખાસ કરીને પદયાત્રિકોના રૂટ પર આકસ્મિક કોઈ બનાવ બને નહીં તે અંગેની તકેદારી રાખવા રખડતાં ઢોર/જોખમી જાનવરના નિયંત્રણ અંગેની કામગીરી કરવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. વધુમાં ડાકોર તરફ આવતા સમગ્ર પદયાત્રાના માર્ગો તથા સ્થાનિક ડાકોર વિસ્તારના માર્ગો પર પદયાત્રિકોની સુરક્ષા સંબંધે માર્ગોની યોગ્ય મરામત તથા અકસ્માત નિવારવા જરૂરી સાઇન બોર્ડ વધુ સંખ્યામાં લગાવવા અંગે પણ આયોજન હાથ ધરવા જણાવવામાં આવ્યું છે.

પીવાના પાણીની અને મેડિકલ સુવિધા: મેળાના સમય દરમિયાન વિદ્યુત પુરવઠો નિરંતર ચાલુ રહે તથા વીજ અકસ્માત સર્જાય નહીં તે અંગે ખુલ્લા વીજ વાયરો, ખુલ્લા ડી.પી. બોક્સ તથા જોખમી વીજ થાંભલાના મરામત સત્વરે કરવા માટે જરૂરી પગલાં લેવા સંબંધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે. પદયાત્રીઓના સમગ્ર રૂટ ઉપર પીવાના પાણીની સુવિધા ઉભી કરવાની કામગીરીની સાથે સાથે ડાકોર શહેરમાં પ્રાથમિક સારવાર, મેડિકલ સુવિધાઓ, દવા, કલોરીનેશન, સેનીટેશન વગેરેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.
શ્રદ્ધાળુઓને સેવાભાવી સંસ્થા અને હોટલ દ્વારા અપાતા ભોજનની ચકાસણી: ડાકોર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ભોજન અને નાસ્તામાં પોષણ સભર ભોજન પુરુ પાડવામાં આવે છે. તેની ચકાસણી કરવાની કામગીરી હાથ ધરાશે. ઉપરાંત ડાકોર ખાતે ચાલતી હોટલ, ખાણીપીણીના સ્ટોલ તેમજ પદયાત્રિકો જે રૂટ પરથી પસાર થાય છે તે વિસ્તારમાં આવતી હોટલો દ્વારા પણ પોષણ સભર ભોજન પુરુ પાડવામાં આવે તે માટે સઘન ચેકીંગ કરવાની અને ગુણવત્તા વિહીન ખોરાક જણાઈ આવે તેવા સંજોગોમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવા અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

યાત્રાળુઓના રૂટ પર ભયજનક વૃક્ષોનો નિકાલ,સફાઈ અને પાણીની વ્યવસ્થા: યાત્રાળુઓના રૂટ ઉપર તૂટેલા અથવા પડી ગયેલા તથા ભયજનક હોય તેવા વૃક્ષોના નિકાલ તથા વન કુટીરની સફાઈ અને પાણીની વ્યવસ્થા કરવા તથા તેની વ્યવસ્થા સૂચવતા જંગલ વિભાગના બેનર્સ લગાવવા અંગે વન વિભાગનો યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા: આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ. સોલંકી, નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, અધિક નિવાસી કલેકટર જે.બી. દેસાઈ સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: