ગાંધીનગર: આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપે પોતાના કાર્યકરો માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જે અનુસાર ભાજપે મીડિયા દ્વારા આયોજીત ચૂંટણીલક્ષી ચોરા કે ચોપાલ જેમાં ભીડ ભેગી કરીને કોઈ કાર્યક્રમનું આયોજન કરાયું હોય તેમા ભાગ લેવા પર મનાઈ ફરમાવી છે.

ભાજપની માર્ગદર્શિકા: લોકસભા ચૂંટણીને લઈને ભારતીય ચૂંટણી પંચે તારીખોનું એલાન કરી દીધું છે. તેની સાથે જ દેશમાં આદર્શ આચાર સંહિતા પણ અમલી બની ગઈ છે. તો બીજી તરફ તમામ રાજકીય પક્ષો વિધિવત રીતે ચૂંટણી પ્રચારના અભિયાનને આગળ ધપાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત ભાજપે પોતાના તમામ સંયોજક, મહામંત્રીઓ, પ્રવક્તાઓ, કન્વીનરો અને સહકન્વીનરને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીને લઈને કોઈપણ જિલ્લા કે મહાનગરમાં ચોરા, ચોપાલ અથવા ભીડ ભેગી કરી ચૂંટણીલક્ષી કોઈપણ કાર્યક્રમ વિવિધ મીડિયા દ્વારા કરવામાં આવે તો કોઈએ સીધો ભાગ લેવો નહીં. અને વધુ માહિતી માટે ભાજપ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશ દવેનો સંપર્ક કરવાનું કહ્યું છે.