નવી દિલ્હી: 1984ના સિખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહાર કેસમાં મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે 12 ફેબ્રુઆરીએ જ સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા છે.
આ કેસમાં CBI અને ફરિયાદીએ સજ્જન કુમારને ફાંસીની સજાની માંગ કરી હતી. મામલો 1 નવેમ્બર, 1984નો છે, જેમાં પશ્ચિમ દિલ્હીના રાજ નગરમાં સરદાર જસવંત સિંહ અને સરદાર તરુણ દીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. સાંજે લગભગ 4-30 વાગ્યે, તોફાનીઓના ટોળાએ રાજ નગર વિસ્તારમાં પીડિતોના ઘર પર લોખંડના સળિયા અને લાકડીઓ વડે હુમલો કર્યો. ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, આ ટોળાનું નેતૃત્વ સજ્જન કુમાર કરી રહ્યા હતા, જે તે સમયે આઉટર દિલ્હી લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ હતા.
1984 anti-Sikh riots case | Delhi's Rouse Avenue court awards life sentence to Sajjan Kumar in the 1984 anti-Sikh riots case
— ANI (@ANI) February 25, 2025
He was convicted in a case related to the killing of a father-son duo in the Saraswati Vihar area on November 1, 1984.
Former Congress MP Sajjan Kumar… pic.twitter.com/ixktHeU9LJ
ફરિયાદ અનુસાર, સજ્જન કુમારે ટોળાને હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા, ત્યારબાદ ટોળાએ સરદાર જસવંત સિંહ અને સરદાર તરુણ દીપ સિંહને જીવતા સળગાવી દીધા હતા. ટોળાએ પીડિતોના ઘરોમાં તોડફોડ, લૂંટફાટ અને આગચંપી પણ કરી હતી. તત્કાલિન રંગનાથ મિશ્રાના નેતૃત્વ હેઠળના તપાસ પંચ સમક્ષ ફરિયાદીએ આપેલા સોગંદનામાના આધારે, ઉત્તર જિલ્લાના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપો મૂકવામાં આવ્યા હતા.