મોરબી જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિની નુકસાનીનું તાત્કાલિક 100 ટકા વળતર ચૂકવવા માગ
મોરબી: સરપંચ પરિષદ ગુજરાત મોરબી જીલ્લા પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જીલ્લાના સરપંચોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે જીલ્લાના તાલુકાઓ જેમાં મોરબી, હળવદ, વાંકાનેર, માળિયા અને ટંકારામાં ઉભા પાકો બાજરો, મગફળી, જુવાર, મકાઈ, તલ, મગ, અડદ અને કપાસને 100 ટકા નુકશાન થયું છે. પાક નુકશાનીનું સર્વે કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં જીલ્લાના અંદાજીત 4 લાખ જેટલા સર્વે નંબરની જમીનો આવેલી છે. દરેક સર્વે કરવા અંદાજીત 8 થી 10 મહિનાનો સમય લાગે તેમ છે ખેડૂતોના તમામ ઉત્પાદન નાશ પામ્યા છે. ત્યારે ખેડૂતો પાસે કોઈ રોજગાર નથી અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.જેથી સર્વે કામગીરીમાં સમય બગાડ્યા વિના તાત્કાલિક ખેડૂતોના ખાતામાં પાક નુકશાની તથા જમીન ધોવાણનું 100 ટકા વળતર ચુકવવું નહિ તો ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહિ રહે ખેડૂતોને 20 દિવસમાં સહાય ચુકવવામાં નહિ આવે તો જીલ્લાના તમામ સરપંચો, ખેડૂતોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને નુકશાનીનું 100 ટકા વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.