જૂનાગઢ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભૂતનાથ મહાદેવ મંદિરમાં શિવના પ્રસંગો સાથે જોડાયેલા શિવ સાથે જોડાયેલા પ્રસંગોને ભરતનાટ્યમના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા. સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે સંગીત કલા પણ ખૂબ જ નિકટતાથી જોડાયેલી છે. ત્યારે શિવને સમર્પિત એવા શિવ તાંડવ સહિત ભરત નાટ્યમ દ્વારા શિવ સાથે જોડાયેલી કલાની અભિવ્યક્તિ જૂનાગઢની બાળકીઓએ રજૂ કરી હતી. જેને જોવા માટે જૂનાગઢ શહેરના લોકો ભૂતનાથ મહાદેવ મંદિરે ઉપસ્થિત થયા હતા. આ પ્રકારનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શિવ સાથે સંકળાયેલા પ્રસંગોને લોકો ભરતનાટ્યમના માધ્યમથી જાણી માણી અને સમજી શકે તે માટે મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભરતનાટ્યમમાં નિપુણતા પ્રાપ્ત કરેલી બાળકીઓએ પોતાનું પર્ફોમન્સ આપીને શિવના પ્રસંગોને ભરતનાટ્યમના રૂપમાં રજૂ કર્યા હતા.