સુરત લોકડાઉન: મેયર ડૉ. જગદીશ પટેલ લોકોને સમજાવવા રોડ પર ઉતર્યા
સુરતઃ મહાનગરપાલિકાએ જાહેર જનતાને કોરોના વાઇરસ (COVID-19)ને લઈને ઘરે રહેવા અપીલ કરી છે. મેયર ડૉ. જગદીશ પટેલ લોકોને સમજાવવા પોતે રોડ પર ઉતર્યા હતા. સુરતના પ્રથમ નાગરિક મેયર ડૉ. જગદીશ પટેલ પોતે સોસાયટીની બહાર અને કિરાણાની દુકાન સહિત અન્ય સ્થળો પર જઈ લોકોને એક સાથે એકઠા ન થવા જણાવ્યું હતું. સોસાયટીમાં એકઠા થયેલા લોકોને ટકોર પણ કરી અને ઘરમાં રહેવા અપીલ કરી હતી. મેયરે જણાવ્યું કે જો લોકો લોકડાઉનને ગંભીરતાથી નહિ લે તો કરફ્યૂ લાગુ કરવું પડશે. સુરત મહાનગરપાલિકાના નગરજનોને મેયર તથા મ્યુનિસિપલ કમિશ્નર સંયુક્ત રીતે અપીલ કરી છે કે, ઘરની બહાર અનાજ-કરિયાણું કે શાકભાજી, દવા, વિગેરે લેવા માટે નીકળે તો એકબીજાથી બે મીટરનુ અંતર રાખવું, ઘરમાં પણ કુટુંબના સભ્યોએ એક મીટરનું અંતર જાળવી રાખવું અને વૃદ્ધ(વડીલો)ને ચેપ ના લાગે તેની સંપૂર્ણ તકેદારી રાખવી, કોઈ પણ ધાર્મિક કાર્યકમ અને જાહેર જમણવાર માટે મહોલ્લામાં ભેગા થવું નહી, નહિતર ગંભીર પરિણામ આવી શકે છે.