- જલારામ જ્યંતિની ઉજવણીના ભાગ રૂપે 7 દિવસીય ભવ્ય શોભાયાત્રાનું આયોજન
- શોભાયાત્રા વિવિધ ગામોમાં ફરી ફલધરા ખાતે આવેલા જલારામ ધામ ખાતે પૂર્ણ થશે
- ફલધરા જલારામ મંદિર ખાતે ઉજવાશે જલારામ જયંતિ
વલસાડ : જિલ્લામાં આવેલા ફલધરા ગામે આવેલા જલારામ બાપાના મંદિરમાં રવિવારના રોજ જલારામ જયંતિ કોવિડ ગાઇડલાઇનને આધીન ગણતરીના વ્યક્તિઓમાં ઉજવણી કરવામાં આવશે. જોકે, દર વર્ષે સામાન્ય રીતે આહીંયા મેળો ભરાય છે અને વિવિધ સ્ટોલ લગાવવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન અનુસાર જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે.
કોવિડના આ નિયમોને આધીન જલારામ જયંતિની ઉજવણી કરાશે
જલારામ બાપાના જલારામ ધામ ખાતે દર વર્ષે ખૂબ જ ભક્તિભાવપૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. અહીંયા આગળ સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા સાથે દર્શનાર્થે આવે છે. તેમજ મહાપ્રસાદનો લાભ લઇ જલારામ બાપાના આશિર્વાદ મેળવે છે. ત્યારે ચાલુ વર્ષે વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મર્યાદિત લોકો વચ્ચે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે.
સામાન્ય દિવસોમાં પણ જલારામ ધામ ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ
જલારામ ધામ ખાતે નદીમાં નૌકા વિહાર તેમજ વિવિધ ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેના કારણે અહીં આવનારા પર્યટકોની સંખ્યામાં સામાન્ય દિવસોમાં પણ ખૂબ વધારે રહે છે. ત્યારે જલારામ જયંતિના પર્વે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, પરંતુ આ વખતે સંચાલકો દ્વારા પણ કડક રીતે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે.
નવું ભોજનાલય તેમજ જલારામ બાપાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરાશે
વલસાડ નજીક આવેલા ફલધરા ખાતે જલારામ બાપાના ધામમાં નવું ભોજનાલય બનાવવામાં આવ્યું છે. જ્યાં આગળ વિશેષ વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે. આ સાથે જલારામ બાપાની પ્રતિમા, વીરબાઈ માની પ્રતિમા તેમજ અન્નપૂર્ણા માતાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. જેનું ઉદ્ઘાટન શનિવારના રોજ રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવશે.