ગુજરાત

gujarat

વલસાડના ગાડરિયા ગામે દીપડીએ વાછરડીનું મારણ કર્યું, ગ્રામજનોમાં ભયનો માહોલ

By

Published : Sep 28, 2020, 3:59 PM IST

વલસાડ નજીક આવેલા ગાડરિયા ગામે રાત્રી દરમિયાન પોતાના બચ્ચા સાથે આવેલી દીપડીએ એક વાછરડીનું મારણ કર્યું હતું. એક જ મહિનામાં આ બીજીવાર આવી ઘટના સામે આવતા લોકો ઘરની બહાર નીકળવા માટે પણ ડરી રહ્યા છે. ઘટનાની જાણ જંગલ વિભાગને કરતા જંગલ વિભાગ હરકતમાં આવ્યું છે.

valsad news
વલસાડના ગાડરિયા ગામે દીપડીએ વાછરડીનું મારણ કર્યું

વલસાડઃ જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી આસપાસના ગામોમાં દીપડાનો ખતરો વધી ગયો છે. સમયાંતરે દીપડાના હુમલાથી અનેક પશુઓના જીવ જોખમમાં મૂકાઇ રહ્યા છે. જંગલખાતા દ્વારા દીપડાને પકડવા માટે વિવિધ જગ્યાઓ પર પીંજરાઓ મૂકવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

વલસાડના ગાડરિયા ગામે દીપડીએ વાછરડીનું મારણ કર્યું

વલસાડ શહેર નજીકમાં આવેલા ગાડરિયા ગામે રામજી મંદિર નજીક રામુભાઈ મોરારભાઈ પટેલના ઘરઆંગણે ગત રાત્રિ દરમિયાન એક દીપડી આવી ચડી હતી. ઘરના ફળિયામાં બાંધેલી ગાય અને નાના વાછરડાને દીપડીએ મારણ બનાવ્યું હતું અને જયાફત ઉડાવી હતી. જે બાદ અંધકારમાં ફરી અદ્રશ્ય થઇ ગઈ હતી.

અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. રાત્રી દરમિયાન બનેલી આ ઘટનાને પગલે પશુઓ ભાંભરવાનો અવાજ પણ આવ્યો હતો પરંતુ કોઇએ ધ્યાન આપ્યું નહોતું. ત્યારે વહેલી સવારે સમગ્ર ઘટના સામે આવી હતી.

ઘરની પાછળના ભાગે દીપડી અને તેના નાના બચ્ચાના પંજા પણ જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાએ ગામમાં ચકચાર જગાવી છે, તો સાથે-સાથે આ ઘટના બાબતે ફોરેસ્ટ વિભાગની જાણકારી આપતા ફોરેસ્ટ વિભાગે દીપડીને પકડવા માટે પીંજરુ ગોઠવવા માટેની તજવીજ હાથ ધરી છે.

મહત્વનું છે કે, ગાડરીયા ગામમાં એક માસ અગાઉ નજીકમાં જ એક ઘરમાં દસ જેટલી મરઘીને દીપડાએ મારણ બનાવ્યું હતું. જે બાદ ફરીથી આજે વાછરડીને મારણ બનાવ્યા બાદ આ ઘટનાએ ગામમાં ભયનો માહોલ છવાયો છે.

દીપડાના હુમલાની ઘટનાઓઃ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચાઠા તેમજ સીમલિયા નજીક દીપડાએ 2 બાળકો પર હુમલો કર્યો હતો. આ દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લાના વાઘોડિયા તાલુકાના વસવેલ ગામે દીપડાની મોજુદગીના ચિહ્નો મળતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. આ વિસ્તારની આસપાસ દીપડાએ વાછરડીનું મારણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ઝાડ સાથે બાંધેલી વાછરડીનું મારણ દીપડાએ કર્યું હતું. જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા પાંચ માહિનામાં અનેક વારઆ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, એકાએક દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

અમરેલી જૂનાગઢ અને ગીર સોમાનાથ જિલ્લામાં દીપડાઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાના બનાવો અચાનક વધી રહ્યા છે. જેમાં, ગત એક મહિનામાં અમરેલીમાં 5, જૂનાગઢમાં 3 અને ગીર સોમનાથ જિલ્લામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દીપડો ખેડૂતો માટે વગર પૈસાનો ચોકીદાર હોવાની વાતને સમર્થન આપતા વનવિભાગના અધિકારીઓની સાથે ખેડૂતો પણ કહે છે કે, દીપડાની હાજરીથી ખેતીના પાકને નુકસાન કરતા પ્રાણીઓ ખેતરથી દુર રહે છે.

ABOUT THE AUTHOR

...view details