વલસાડઃ એક સર્વે અનુસાર દુનિયાના 10 ટકાથી પણ વધારે લગભગ દોઢ લાખ થેલેસેમીયા દર્દીઓ ભારતમાં છે. દર વર્ષે ભારતમાં 10 હજાર થેલેસેમીયા પીડિત બાળકો ઉમેરાતા જાય છે. જેમાં ગુજરાત અને વલસાડ જિલ્લો પણ એમાંથી બાકાત નથી. વલસાડ જિલ્લામાં પણ વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે લોહી લેવા આવતા થેલેસેમીયાના 60થી વધુ દર્દીઓ નોંધાયેલાᅠછે. જેમને દર મહીનેᅠનિયમિત રક્તની જરૂરᅠપડે છે. જે દરેક સમાજ માટે ઘણી જ ગંભીર બાબત ગણી શકાય.
ગુજરાતમાં સિંધી, લોહાણા, ભાનુશાળી, બ્રાહ્મણ, મુસ્લિમ, આહીર, હરીજન, જેવા સમાજમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ વારસાગત અને જનીનિક ખામીને કારણે ઉદભવતી ગંભીર બીમારી વિશે જાણતા હોઈએ તો આપણી ફરજ બને છે કે જ્યારે જ્યારે સમાજમાં પસંદગી મેળા, સ્નેહ મિલન કે લગ્ન પ્રસંગે ભેગા થઇએ ત્યારે આ ગંભીર બીમારી વિશે પુરી જાણકારી આપીએ. જન્માક્ષર કરતા આવા રોગ વિશેના રિપોર્ટ મેળવી ભાવી પેઢીમાંથી ધીમે ધીમે આ રોગને આવતો અટકાવીએ. કોરોનાના કહેર વચ્ચે નિયમિત લોહીની જરૂરવાળા દર્દીઓ, જેવા કે, થેલેસેમિયા, સિકલસેલ એનીમિયા, કેન્સર, હિમોફિલિયા અને સગર્ભા બહેનોનીᅠજિંદગી બચાવવા માટે સમયસર રક્ત મળી રહે તે માટે વલસાડ રક્તદાન કેન્દ્ર લોકડાઉનમાં પણ ૪પ દિવસથી સતત સેવાભાવી સ્ટાફના સથવારે ખડેપગેᅠ૨૪ કલાક કાર્યરત છે.
જરૂરિયાતમંદ દર્દીઓને માટે આશીર્વાદ રૂપ બની રહી છે. વલસાડ રક્તદાન કેન્દ્રના માનદ્ મંત્રીᅠડૉ. યઝદી ઈટાલીયાએ વિશ્વ થેલેસેમિયા દિવસે સૌ થેલેસેમિયાના દર્દીઓના સુખમય અને નિરામય જીવન માટે શુભકામનાઓ પાઠવતા જણાવ્યુંᅠછે કે, સરકારના નોટિફિકેશન અન્વયે કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા ઘરની બહાર ના નીકળવું જોઇએ. પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન પણ એટલું જ આવશ્યક છે.હાલના સંજોગોમાં કોરોના વાઈરસની મહામારીને પરિણામે સમગ્ર વિશ્વ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહયું છે. ત્યારે સ્વૈચ્છિક રક્તદાન તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મેળવવાની પ્રવૃતિઓમાં ગંભીર અસર જોવા મળી છે.