વાપીઃ શનિવારે રાત્રે 10 વાગ્યે વાપીથી ઉત્તરપ્રદેશના જોનપુર માટે સ્પેશિયલ ટ્રેનમાં 1200 શ્રમિક પ્રવાસીઓને રવાના કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા પોલીસે અને રેલવે વિભાગે સંપૂર્ણ સલામતી જાળવી કોચમાં પ્રવાસીઓને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગ લોકડાઉનમાં શ્રમિકો માટે સૌથી મોટી ખુશીનો હતો.
વાપીથી 1200 શ્રમિકો ભરી સ્પેશિયલ ટ્રેન UPના જોનપુર માટે રવાના થઈ, શ્રમિકોમાં ઉત્સાહ
લોકડાઉનના સમયમાં પ્રરપાંતિ લોકોને તેમના વતન મોકલવા માટે સરકાર દ્વારા ટ્રેન શરૂ કરવામાં આવી છે. વાપીના 1200 શ્રમિક પ્રવાસીઓને તેમના વતન રવાના કરવા માટે વાપીથી ઉત્તરપ્રદેશના જોનપુર જવા સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી હતી.
વાપી રેલવે સ્ટેશને રાત્રે 09 વાગ્યે વાપી GIDC અને અન્ય વિસ્તારોમાં કામ કરતા પ્રવાસી મજૂરોની બસોનું આવાગમન શરૂ થયું હતું. જેમાં આવેલા 1200 જેટલા ઉત્તરપ્રદેશના શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે એક લાઈનમાં રેલવે સ્ટેશનમાં પ્રવેશ અપાયો હતો. તમામના માલસામાન અને હાથને સેનેટાઈઝરથી સ્વચ્છ કરાવી ટ્રેનના કોચ સુધી રવાના કરાવ્યા હતાં. પોતાના વતન જવા 45 દિવસથી અનેક મુશ્કેલીઓ વેઠતા આ પ્રવાસીઓ પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનના દર્શન કરતાની સાથે જ વતનની યાદ મનમાં ભરી હર્ષઘેલા બન્યા હતાં. ટ્રેનમાં કોઈ પ્રવાસીને કોઈ તકલીફ ના પડે તે માટે વલસાડ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસ ખડેપગે રહી હતી.
ઉલ્લેખનીય છે કે, શનિવારે 1200 પ્રવાસીઓ સાથેની આ સ્પેશિયલ ટ્રેન બાદ આગામી દિવસોમાં પણ અન્ય ટ્રેન મારફતે પ્રવાસી શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવશે. વાપી ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા હજારો શ્રમિકો હાલ લોકડાઉનના કારણે વતન જવાના મૂડમાં છે. જે માટે સરકારે ખાસ ટ્રેન મારફતે તેઓને વતન પહોંચાડવાનો નિર્ણય લીધો છે. જો કે જેટલો ઉત્સાહ આ શ્રમિકોમાં પોતાના વતન જવા માટે દેખાતો હતો. તેની સામે આગામી દિવસોમાં વાપીમાં કામદારોને લઈને ઉદ્યોગોમાં કેવી મુસીબત આવશે તે કહેવું પણ અઘરું છે.