રાજ્યના પ્રવેશ દ્વાર એવા ઉમરગામના સંજાણ વિસ્તારમાં આવેલા બંગલામાં લૂંટને કારણે ચોકીદારની હત્યા કરવામાં આવી હતી. આમ, તો આ બંગલાના માલિક ઈમ્તિયાઝ પટેલ છે અને તે વિદેશ રહે છે. આથી માલિકે બંગલાની દેખભાળ કરવા માટે એક ચોકીદાર રાખ્યો હતો. રૂપજીભાઇ નામના આ ચોકીદાર સાંજે બંગલા ઉપર આવતા હતા અને સવાર સુધી ચોકીદારી કરીને પરત જતા હતાં. તે દરમિયાન બંગલા નજીકથી પસાર થતાં એક વ્યક્તિને કંઈક અજુકતું થયું હોવાનો અંદાજો આવતા તેણે ગામના અન્ય લોકોને જાણ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.
ઉમરગામના સંજાણમાં વોચમેનની હત્યા કરીને બંધ બંગલામાં કરાઈ લૂંટ
વલસાડ: જિલ્લામાં ફરી એકવાર લૂંટ સાથે હત્યાની ઘટના બનતા જ જિલ્લાભરની પોલીસ દોડતી થઇ છે. ઉમરગામ તાલુકાના સંજાણ નજીક એક બંગલામાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. લૂંટારુઓ બંધ બંગલાને નિશાન બનાવવા આવ્યા હતાં. જો કે આ બંધ બંગલાના ચોકી કરતા ચોકીદારની હત્યા કરી લૂંટ ચલાવી આરોપી ફરાર થઇ ગયા હતાં.
પોલીસે આગળ તપાસ કરતા મકાનની પાછળના ભાગે વોચમેન રૂપજીભાઇનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી આ બંગલો બંધ હતો. જેમાં મૃતક ચોકીદાર રખેવાળી કરતા હતા. લૂંટારુઓએ લૂંટ વખતે ચોકીદારની હત્યા કરી હતી. તેમજ આરોપી બંગલામાં લાગેલા CCTVનું ડીવીઆર પણ સાથે લઈને ફરાર થઈ ગયા હતાં.
પોલીસે આરોપી સુધી પહોંચવા FSL અને ડોગ સ્કવોડની પણ મદદ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પરંતુ, જાહેર રોડ પર બંગલામાં ચોકીદારની હત્યા કરી લૂંટારૂ ટોળકીએ કરેલી લૂંટને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસનું માનવું છે કે, બંગલામાં ત્રાટકેલા લુંટારાઓ ચોક્કસ રેકી કરીને આવ્યા હશે, ત્યારે હવે આ હત્યા અને લુંટના ગંભીર ગુનાના આરોપીઓ સુધી પોલીસ વહેલી પહોંચે એ જરૂરી છે.