વિજયા દશમીને લઈ વાહન ખરીદીમાં મંદીનું આંશિક ગ્રહણ
વડોદરાઃ સમગ્ર દેશમાં મંગળવારે દશેરાનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજના દિવસે નવા વાહન ખરીદવાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ વર્ષે આર્થિક મંદી હોવાથી વાહન ખરીદીમાં મંદીનું આંશિક ગ્રહણ જોવા મળ્યું હતું. ગત્ત વર્ષ કરતા આ વર્ષે વાહન ખરીદીમાં 20 ટકા જેટલું ઓછું સેલિંગ જોવા મળ્યું હતું.
વડોદરા શહેરમાં દશેરાના પર્વે ફાફડા જલેબી જ નહીં પરંતુ નવા વાહન ખરીદીમાં પણ શહેરીજનોની વાહન શો રૂમમાં ભીડ જોવા મળી હતી. જો કે, આ વર્ષે નવા વાહન ખરીદીમાં ગત્ત વર્ષ કરતા 20 થી 25 ટકા જેટલું સેલિંગ ઓછું થયું છે. જોકે હાલમાં ચાલી રહેલી મંદીની આંશિક અસર નવા વાહનની ખરીદીમાં પણ જોવા મળી હતી. જોકે આજના વિજયા દશમીના દિવસે અંદાજીત 2 હજારથી વધુ ટુ વહીલર અને અંદાજીત 800થી વધુ ફોર વહીલરનું વેચાણ થયુ છે. જોકે ગત્ત વર્ષની સરખામણીમાં આ વર્ષે નવા વાહનોનું વેચાણ ઓછું થયું છે.