ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 43 વર્ષીય કોરોના દર્દીની 40 દિવસની લાંબી સારવાર,13 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ સાજા થયા

છેલ્લા એક વર્ષના કોરોના કાળ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાપીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે અનેક ક્રિટિકલ દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મોટું યોગદાન આપ્યું છે, જેમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. અડાજણના 43 વર્ષીય વિજયભાઈ કેશવભાઈ વરિયાને 40 દિવસની લાંબી અને જહેમતભરી સારવાર બાદ સ્વસ્થ કરવામાં નવી સિવિલના તબીબોને સફળતા મળી છે.

By

Published : May 6, 2021, 7:32 PM IST

સુરતમાં 43 વર્ષીય કોરોના દર્દી 40 દિવસની લાંબી સારવાર,13 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ સાજા થયા
સુરતમાં 43 વર્ષીય કોરોના દર્દી 40 દિવસની લાંબી સારવાર,13 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ સાજા થયા

  • અડાજણના વિજયભાઈ વરિયાએ 40 દિવસની લાંબી લડત બાદ કોરોનાને મ્હાત આપી
  • મજબૂત ઈરાદા અને તબીબોની મહેનતના પરિણામે કોરોના સામે લાંબો જંગ ખેલીને ઘરે પરત ફર્યા
  • ફેફસામાં 90 ટકા કોરોનાનું ઈન્ફેક્શન લાગી ચૂક્યું હતું

સુરત: અડાજણના સંગમસિટી ટાઉનશીપમાં રહેતા વિજયભાઈ ગત તા.25 માર્ચે કોરોના પોઝિટિવ આવતાં પાંચ દિવસ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર મેળવી હતી, એ સમયે તેમને ફેફસાંમાં 40 ટકા જેટલું સંક્રમણ હતું. જે વધી જતાં તેમને રિફર કરીને નવી સિવિલમાં ગત.1લી એપ્રિલે દાખલ કરાયા હતા. જ્યાં 34 દિવસની સારવાર મળી કુલ 40 દિવસ સુધી કોરોના સામે જંગ ખેલીને આખરે તેમણે કોરોનાને મ્હાત આપી હતી. તા.5મી એપ્રિલે રજા આપવામાં આવી અને આજે પરિવાર સાથે પુન: મિલન શક્ય બન્યું છે.

13 દિવસ સુધી ICUમાં વેન્ટીલેટર પર રહ્યા

વિજયભાઈ વીર નર્મદ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમનું સ્વસ્થ થવું એ ચમત્કારથી કમ નથી. 13 દિવસ સુધી ICUમાં વેન્ટીલેટર પર રહ્યા અને મજબૂત ઈરાદા અને સિવિલના તબીબોની મહેનતના પરિણામે આખરે તેઓ કોરોના સામે લાંબો જંગ ખેલીને કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે, ત્યારે પરિવાર સાથે પુન: મિલન થવાની ખુશી વરિયા પરિવાર કરતા નવી સિવિલના તબીબી સ્ટાફને વધુ હતી.

આઈસીયુમાં બાયપેપ પર 100 ટકા ઓક્સિજન પર હતા

વિજયભાઈ ત્રણ દિકરીઓના પિતા છે. પત્ની અને ત્રણ દિકરીઓના મુખ પર સ્મિત ફરી પાછું આવ્યું છે. વિજયભાઈના પરિવારજનો તેમને સ્વસ્થ થયેલા જોઈને ખુશીના આંસુ રોકી શકતા નથી. પરિવાર ભાવસભર લાગણી વ્યક્ત કરતા કહે છે કે, ગત 1લી એપ્રિલનો દિવસ અમારા માટે સંકટભર્યો હતો. ફેફસામાં 90 ટકા કોરોનાનું ઈન્ફેક્શન લાગી ચૂક્યું હતું . આવા કપરા સમયમાં સિવિલના તબીબો અમારા આધારરૂપ બન્યા.વરિયા પરિવારને તેમની તબિયત વિષે ફરજ પરના તબીબો દરરોજ ફોન કરી માહિતી આપતા હતા. તેમના આશ્વાસનથી ખૂબ હિંમત મળી. કુલ 40 દિવસની સારવારનો એક એક દિવસ અમારા માટે મુશ્કેલ હતો, પરંતુ પતિ કોરોનામુક્ત થયા એનો આનંદ વર્ણવી શકાય તેમ નથી. સિવિલના તબીબોએ જીવનદાન આપ્યું છે , એમના જીવનભર ઋણી રહીશું.

સુરતમાં 43 વર્ષીય કોરોના દર્દી 40 દિવસની લાંબી સારવાર,13 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ સાજા થયા

34 દિવસની સંઘર્ષમય સારવારના અંતે સિવિલ તંત્રને ખુશી

નવી સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના હેડ અને વરિષ્ઠ પ્રોફેસર ડો. કે.એન.ભટ્ટે વિગતો આપતાં જણાવ્યું કે, વિજયભાઈ તા.૧લી એપ્રિલે તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલ દાખલ થયા હતા. તપાસમાં આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો.એચઆરસિટીમાં 85 થી 90 ટકા જેટલું ફેફસામાં કોરોનાનું ઈન્ફેક્શન જણાયું. તેઓ જ્યારે દાખલ થયા ત્યારે હાલત અત્યંત ગંભીર હતી, અને ઓક્સિજન લેવલ ઘટી જતા તાત્કાલિક આઈસીયુમાં બાયપેપ પર 100 ટકા ઓક્સિજન પર સારવાર શરૂ કરી. શ્વાસ લેવામાં વધુ તકલીફ થતી હોવાથી વિજયભાઈને 13 દિવસ વેન્ટિલેટર પર પણ રાખ્યા હતા. આઈસીયુમાં સારવાર દરમ્યાન ICMR અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રેમડેસિવિર ઈન્જેક્શનના ડોઝ અને પ્લાઝમા સારવાર પણ આપવામાં આવી હતી. ધીરે ધીરે સારવાર બાદ તબિયતમાં સુધાર આવતા બાહ્ય ઓક્સિજનની માત્રા ઘટાડતા ગયા. લાંબી પરંતુ યોગ્ય સારવારના કારણે ધીમે ધીમે તબિયતમાં સુધાર જણાતા નોર્મલ એર રૂમ પર શિફ્ટ કર્યા હતા. અંતે 34 દિવસની સંઘર્ષમય સારવારના અંતે સિવિલ તંત્રને ખુશી છે કે તેઓ કોરોનામુક્ત થયા છે. તબીબી સ્ટાફ હંમેશા તેમનો ઉત્સાહ વધારી કહેતા કે, ‘તમે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશો’ અનેક દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવનારા દ.ગુજરાતના નોડલ ઓફિસર ડો. અશ્વિન વસાવાએ ખુશીની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, વિજયભાઈ સિવિલમાં લાંબી સારવાર લઈને સ્વસ્થ થનારા દર્દીઓમાંના એક છે, જેમની અમે કોવિડની સઘન સારવાર કરી છે. તેમને સ્વસ્થ કરવામાં સિવિલની સંનિષ્ઠ તબીબોની સાથે નર્સિંગ સ્ટાફનો પણ એટલો જ ફાળો રહ્યો હોવાનું તેઓ જણાવે છે.

કોવિડ વોર્ડ બન્યું બીજું ઘર

કોરોનામુક્ત વિજયભાઈ આંખમાં હર્ષાશ્રુ સાથે કહે છે કે, 'સિવિલ હોસ્પિટલમા વિતાવેલા 34 દિવસ ક્યારેય ભુલાશે નહિ. આ સમયમાં સિવિલનો કોવિડ વોર્ડ મારૂ બીજું ઘર બન્યું હતું. અહીં તમામ કર્મચારીઓએ મને પરિવાર જેવો પ્રેમ સાથે સેવા સારવાર આપી છે. એક સમયે મને કોઈ સાથે વાત કરવાનું પણ ગમતું ન હતું, હું ક્યારે સાજો થઈને ઘરે જઇશ, સાજો થઈશ કે નહિ એ પણ જાણ ન હતી. પરિવાર સાથે વિડિયો કોલ પર વાત પણ કરાવતા ત્યારે ખૂબ સારૂ લાગતું. સિવિલની સારવારથી હું મૃત્યુના મુખમાંથી ઉગર્યો છું એમ તેઓ ઉમેરે છે.આસિ.પ્રોફેસર(મેડિસીન) ડો.કોમલ જાંગીડ, આસિ.પ્રોફેસર(એનેસ્થેસિયા) ડો.શ્વેતા પટેલ, રેસિ. ડોકટરોમાં ડો.સિદ્ધાર્થ અગ્રવાલ, ડો.ત્વિષા ચૌધરી, ડો.પાર્થ ટાંકની જહેમતભરી સારવારે વિજયભાઈને નવજીવન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details