ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપે કરી ભારે, બારડોલીમાં કિસાન સંમેલનના પોસ્ટરમાં જિલ્લા પ્રમુખ બન્યા ધારાસભ્ય

બારડોલીમાં આજે ગુરુવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવ્યા હતા. તેમણે સ્વરાજ આશ્રમ મેદાનમાં આયોજિત કિસાન સંમેલનમાં કૃષિ કાયદા અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ખોટી વાતો કરી ભ્રમિત કરવાનો પ્રયાસ કોંગ્રેસ સહિતની કેટલીક પાર્ટીઓ કરી રહી છે. દેશને અસુરક્ષિત કરવા માટે આ કિસાન આંદોલન થઈ રહ્યાં છે.

By

Published : Dec 17, 2020, 7:32 PM IST

ETV BHARAT
બારડોલીમાં કિસાન સંમેલનના પોસ્ટરમાં જિલ્લા પ્રમુખ બન્યા ધારાસભ્ય

  • સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે યોજાયું સંમેલન
  • કૃષિ કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
  • ભાજપ દ્વારા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કરવા વ્યૂહરચના બનાવાય
  • ભાજપે જિલ્લા પ્રમુખને પોસ્ટરમાં બનાવ્યા ધારાસભ્ય
    બારડોલીમાં કિસાન સંમેલનના પોસ્ટરમાં જિલ્લા પ્રમુખ બન્યા ધારાસભ્ય

સુરત: બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે ગુરુવારના રોજ સુરત, તાપી, ભરુચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલન ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.

કિસાન સંમેલનમાં ખેડૂતો કરતાં ભાજપના ખેસધારી કાર્યકર્તાઓ વધુ

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી નવા કૃષિ કાયદાઓ અંગે લોકોને જાગૃત કરવા ભાજપ દ્વારા એક વ્યૂહરચના બનાવવામાં આવી છે. જેના ભાગ રૂપે ખેડૂતોને બિલના ફાયદા અંગે જાણકારી અને માર્ગદર્શન આપવા માટે યોજાયેલા આ કિસાન સંમેલનમાં ખેડૂતો ઓછા અને કેસરિયાઓ ખેસ ધરી ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વધુ જોવા મળી હતી. જેને લઈને આ કાર્યક્રમ ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન જેવો લાગી રહ્યો હતો.

સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ

માજી કૃષિ પ્રધાન શરદ પવાર સૌથી નિષ્ફળ પ્રધાન

કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ બિલના ફાયદા સમજાવતા પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યુ હતું કે, આ આંદોલન 2 રાજ્યોમાં જ ચાલી રહ્યું છે. અન્ય કોઈ રાજ્યના ખેડૂતો આંદોલનમાં જોડાયા નથી. જે ખેડૂતોની જાગૃતિ બતાવે છે. તેમણે પૂર્વ કૃષિપ્રધાન શરદ પવારને પણ આડે હાથે લીધા હતા અને જણાવ્યું હતું કે, સૌથી વધુ સમય કૃષિ પ્રધાન રહેવાની સાથે તે સૌથી નિષ્ફળ કૃષિ પ્રધાન રહ્યા છે. તેમણે ખેડૂતોના હિત માટે કોઈ પગલાં લીધા નથી.

1947થી અત્યારસુધી ખેડૂતોને ગુલામ જ રાખવામાં આવ્યા

વર્ષો સુધી કોંગ્રેસે ડૉ.સ્વામીનાથનની ભલામણ લાગુ કરી નહોતી. જેને આજે મોદી સરકારે લાગુ કરી છે. આ ભલામણમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોની હિત જોયું છે. ખેડૂતોને 1000ના ખર્ચ સામે 1500 રૂપિયા મળે તે માટે આ કાયદો છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, દેશના લાચાર ખેડૂતને 1947થી અત્યાર સુધી ગુલામીમાં જ રાખવામાં આવ્યા હતા. આ ગુલામીમાંથી ખેડૂતોને વડાપ્રધાન મોદીએ મુક્ત કર્યા છે. આ કાયદાને કારણે ખેડૂતોને સ્વતંત્રતા મળી છે. હવે ખેડૂત ઈચ્છે ત્યાં પોતાની ખેત પેદાશ વેચીને નફો કમાઈ શકે છે.

બારડોલીમાં કિસાન સંમેલનના પોસ્ટરમાં જિલ્લા પ્રમુખ બન્યા ધારાસભ્ય

અરવિંદ કેજરીવાલ પેપર ટાઈગર બનવાનો પ્રયાસ કરે છે

તેમણે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની તુલના એક શહેરના મેયર તરીકે કરતાં જણાવ્યું કે, શહેરના મેયર જેટલો હોદ્દો ધરાવતા દિલ્લીના મુખ્યપ્રધાન કેજરીવાલ પેપર ટાઈગર બનવાનો પ્રયાસ કરે છે. તેમને અને રાહુલ ગાંધીને ગવાર શું છે તેની ખબર નથી અને કૃષિ કાયદાનો વિરોધ કરવા નીકળી પડ્યા છે.

ખેડૂતોને કૃષિ કાયદાના સમર્થનમાં ખૂલીને બહાર આવવા અપીલ

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતનો ખેડૂત ક્યારેય લાચાર તો હતો જ નહીં, પરંતુ આજે વધુ મજબૂત બન્યો છે. તેમને ખેડૂતોના નામે આંદોલન કરી રહેલા કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, આ પાર્ટીઓ ખેડૂતોને ભરમાવવાનું કામ કરી રહી છે. તેમણે ઉપસ્થિત ખેડૂતોને આ કાયદાઓના સમર્થનમાં ખૂલીને બહાર આવવાની અપીલ કરી કોંગ્રેસને ખુલ્લા પાડવાની હાંકલ કરી હતી. તેમણે આ માટે સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરવા જણાવ્યુ હતું.

સી.આર.પાટીલનું સંમેલન

ખેડૂત આંદોલન સરકારને બદનામ કરવાનું કાવતરું : ગણપત વસાવા

આ કાર્યક્રમમાં રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યુ હતું કે, ભાજપ સરકાર ખેડૂતો સાથે ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. તેમણે કિસાન આંદોલનને સરકારને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું. ભાજપ અગ્રણી ભરતસિંહ પરમારે જણાવ્યુ હતું કે, ભાજપ રાજનીતિની નહીં રાષ્ટ્રહિતને લઈને ચાલનારી પાર્ટી છે. ભાજપના રાજમાં ખેડૂત અને જવાન બન્ને ખુશ-ખુશાલ છે.

સરકારની બેધારી નીતિ સામે લોકોમાં રોષ

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના જાહેરનામા છતાં 100થી વધુ માણસો ભેગા કરવા બદલ લોકોમાં ભાજપની બેધારી નીતિને લઈ ખાસ્સો રોષ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા કોરોના ગાઈડલાઇનને લગ્ન સહિતના કાર્યક્રમોમાં માત્ર 100 વ્યક્તિઓને જ પરવાનગી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને હાલમાં તો ઓનલાઈન પરવાનગી લેવા અંગે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, ત્યારે બારડોલી ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં ઓનલાઈન પરવાનગી કેમ લેવામાં ન આવી તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારની અવગણના

સ્વરાજ આશ્રમ ખાતે આયોજિત કિસાન સંમેલનમાં રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારની અવગણના કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના પ્રધાનોને પ્રવચન માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમાર કૃષિ કાયદાને લગતા કાર્યક્રમમાં સ્થાનિક હોવાને નાતે પણ ખેડૂતોને સંબોધવાનો મોકો આપવામાં ન આવતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી. આ અગાઉ ઉમરપાડા ખાતે મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા સિંચાઇ યોજના ખાતમુહૂર્ત પ્રસંગે પણ તેમને બોલવાનો મોકો આપવામાં આવ્યો નહોતો. સતત બીજી વખત તેમની અવગણના થઈ હોવાની ચર્ચાએ સભા મંડપમાં જોર પકડ્યું હતું.

સુમુલના પ્રમુખ અને ખેડૂત માનસિંહ પટેલને પણ બોલવા ન દેવાયા

એક સહકારી અગ્રણી અને ભાજપાના કાર્યકર્તા સંજય પટેલને જાગૃત ખેડૂત બનાવી તેમની પાસે જ કાયદાની વાહવાહી કરાવી હતી. ભાજપને કાયદાના સમર્થન બોલી શકે એવો સામાન્ય ખેડૂત પણ મળ્યો નહોતો. સ્ટેજ પર સુમુલ ડેરીના પ્રમુખ, ખાંડ ઉદ્યોગ સંઘના માજી પ્રમુખ અને 35 વર્ષ સુધી મહુવા સુગર ફેક્ટરીના પ્રમુખ રહી ચૂકેલા માનસિંહ પટેલને ખેતી અને પશુપાલનનો અનુભવ હોવા છતાં તેમને પણ પ્રવચન આપવાથી દૂર રાખવામાં આવ્યા હતા. જેને લઈને સુરત જિલ્લા ભાજપમાં હજુ પણ જુથવાદ પ્રવર્તી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

જિલ્લા પ્રમુખ બન્યા ધારાસભ્ય

સંદીપ દેસાઇને ધારાસભ્ય બનાવી દેવામાં આવ્યા

કિસાન સંમેલનને લઈ સુરત જિલ્લા ભાજપા દ્વારા બનાવવામાં બેનરોમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇને ધારાસભ્ય બનાવી દેવામાં આવ્યા હતા. જે છબરડાને લઈને હાસ્યાસ્પદ પરિસ્થિતીનું નિર્માણ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details