- પડતર માંગણીઓને લઈ વીજ કંપનીના કર્મચારીઓની હડતાલ
- DGVCLના કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી હડતાલ પર ઉતર્યા
- વીજ કંપનીઓની ભયંકર ઉપેક્ષાઓ કરેલ હોવાથી કર્યો વિરોધ
સુરત: ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ગુજરાત ભરમાં પડતર માંગણીઓને લઇને 55 હજાર કર્મચારીઓ બપોરના રિશેષ દરમિયાન હડતાલ પર ઉતર્યા હતા. સુરત શહેરમાં અલગ-અલગ સબડિવિઝન પર DGVCLના કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી હડતાલ પર ઉતર્યા હતા. આગામી તારીખ 21-1-2021ના રોજ માસ સી.એલ ઉપર જવાનો નિર્ધાર કર્યો છે. સરકાર દ્વારા વીજ કંપનીઓની ભયંકર ઉપેક્ષાઓ કરાયેલી હોવાની લાગણી સાથે સરકારની પર નિર્ણય નીતિ સામે આંદોલન કર્યું હતું અને કાળી પટ્ટી બાંધી વિદ્યુત બોર્ડ ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો હતો
ઉર્જા મંત્રીની જાહેરાતના એક વર્ષ બાદ પણ કોઈ હકારાત્મક પરિણામ નથી
વીજ કંપનીના કિસ્સામાં જી.યુ.વી.એન.એલ સંસ્થા છે. પગાર પંચ માટે સરકાર દ્વારા નાણાંકીય ભંડોળ આપવાનું હોતું નથી પરંતુ જી.યુ.વી.એન.એલ તેની સંલગ્ન કંપનીઓ દ્વારા જ પગાર પંચના નાણાંકીય આયોજન સ્વનિર્ભર રીતે કરાવવામાં છે. સાતમા પગાર પંચના નાણાકીય બોજા માટે બજેટમાં અલગ જોગવાઈ કરી દીધી છે, ત્યારે સરકારે તો ફક્ત નાણાકીય બોજ વગર ઔપચારિક મંજૂરી આપવાની હોય છે. આ ઉપરાંત સરકારના ઉર્જા મંત્રી દ્વારા પાંચમા પંચના એલાઉન્સની તારીખ 01-01-2016થી એરીયર્સની સહિતની રકમ ચૂકવવાની જાહેરાત કરી હોવા છતાં નાણાંખાતા દ્વારા અગમ્ય કારણોસર ઔપચારિક સૈદ્રાતિક મંજૂરી પણ આપવામાં આવેલી નથી. હવે ઉર્જા મંત્રીની જાહેરાતના એક વર્ષ બાદ પણ કોઈ હકારાત્મક પરિણામ ન આવતાં જી.યુ.વી.એન.એલના તમામ યુનિયનો દ્વારા ઇતિહાસમાં સૌપ્રથમવાર એક થઈ ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિની રચના કરી આ આંદોલન કરવામાં આવશે.