બારડોલી :ઝામ્બિયામાં લૂંટારુઓએ કરેલા ગોળીબારમાં પતિના (Murder Gujarat in Zambia) મૃત્યુ બાદ સાસરિયાઓએ ‘તારા પગલાં સારા નથી, તું અમારા દીકરાને ખાઈ ગઈ’ એવા આરોપ લગાવી વિધવા પુત્રવધૂને 7 મહિનાના પુત્ર સાથે કાઢી મૂકી (in laws evict widowed daughters in law In Bardoli) હતી. વિધવા પુત્રવધૂએ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવતીએ માતપિતાની મરજી વિરુદ્ધ કર્યા હતા પ્રેમ લગ્ન :પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે રહેતા ઠાકોરભાઈ રણછોડભાઈ મિસ્ત્રીની પુત્રી નમ્રતા (ઉ,વર્ષ 24) એ માતપિતાની મરજી વિરુદ્ધ વર્ષ 2018માં મલેકપોર ગામે કણબીવાડમાં રહેતા પિંકેશ રોહિતભાઈ પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પિંકેશના બેન બનેવીએ તેમને કામધંધા અર્થે આફીકાના ઝામ્બિયા ખાતે બોલાવતા પિંકેશ અને નમ્રતા ઝામ્બિયામાં સ્થાયી થયા હતા. ત્યાં તેઓ બેન રીમા અને બનેવી પિંકલ સાથે સંયુક્ત પરિવારમાં રહી પલસાણા ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ મોલમાં કામ કરતાં હતા. થોડા સમય સારી રીતે રહ્યા બાદ નણંદ રીમા અને નણદોઈ નાની નાની બાબતે મેણાંટોણાં મારવા લાગ્યા હતા. તું અમારા સમાજની નથી અને તું તારા ઘરેથી કઈ લાવેલ નથી તેમ કહી માનસિક રીતે ત્રાસ આપતા હતા.
ઝામ્બિયામાં લૂંટારુઓએ પતિની કરી હતી હત્યા :નણંદ અને નણદોઈ ભારત આવવાના હોય કામની જવાબદારી પિંકેશને સોંપીને તેઓ બંને ભારત આવ્યા હતા. ગત 12મી જાન્યુઆરી 2022ના રોજ સાંજના સમયે પિંકેશ ઘરની બહાર ઊભા હતા તે સમયે અચાનક લૂંટારુ આવ્યા હતા અને પિંકેશને માર મારી તેને બે ગોળી મારી દીધી હતી. આ હુમલામાં પિંકેશનું બે દિવસની સારવાર બાદ મોત થયું હતું. નમ્રતા 28 જાન્યુઆરીના રોજ પતિનો મૃતદેહ લઈને મલેકપોર આવી હતી. તે સમયે તેણીને 6 માસનો ગર્ભ હતો. મરણવિધી પૂર્ણ થયા બાદ પણ નમ્રતા સાસરીમાં જ રહેતી હતી.