સુરત: કોરોના વાઇરસને લઈને ભારતમાં લોકડાઉન ૩ મે સુધી ભારતમાં લોકડાઉન છે, તેમજ હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે તમામ લગ્ન પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યાં છે. તમામ પ્રકારની ઉજવણી પણ રદ્દ કરવામાં આવી છે અને લોકોને માત્ર ઘરમાં જ રહેવા સુચના આપવામાં આવી છે.
આ બધા વચ્ચે સુરતમાં એક અનોખા લગ્ન યોજાયા હતાં. તમે વિચારતા હશો કે લોકડાઉનમાં લગ્ન કેવી રીતે થયા? પરંતુ જી...હા લોકડાઉનમાં લગ્ન થયા છે. સુરતમાં રહેતા અને ટેક્સટાઈલ વ્યવસાય સાથે સંકળાયેલા દીશાંક પુનામીયાના લગ્ન 16 એપ્રિલના રોજ સુરતમાં રહેતી પૂજા ગૌતમભાઈ જૈન સાથે નક્કી થયા હતા. 6 મહિના અગાઉ લગ્નની તારીખ પણ લેવામાં આવી હતી, પરિવારોમાં ખુશીનો માહોલ હતો અને રાજસ્થાન ખાતે જઈ ધામધૂમ પૂર્વક લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જો કે, કોરોના વાઇરસની મહામારીને લઈને ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને તેઓ રાજસ્થાન જઈ ન શક્યા. આખરે લગ્નની તારીખ હોવાથી તેઓએ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેઓ ઘરની અગાસી પર જઈ માતા-પિતાની હાજરીમાં જ લગ્નગથ્રી જોડાયા હતા.