- તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં કોર્ટમાં અત્યાર સુધી ચાર્જ ફ્રેમ થઇ શક્યો નથી
- પાંચ વખત તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં ચાર્જફ્રેમ માટે તારીખ પડી ચૂકી છે
- કોરોના કાળના કારણે અને પોલીસ જાપ્તા ન હોવાના કારણે અત્યાર સુધી આ પ્રક્રિયા હાથ ધરાઇ શકી નથી
સુરત : તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. 22 માસૂમ બાળકોએ તંત્રના ઘોર પાપે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તક્ષશિલા અગ્નિકાંડ કેસના 14 આરોપીઓ પૈકી 9 આરોપીઓ હાલ જામીન પર મુક્ત થઈ ગયા છે. આરોપી વધુ હોવાના કારણે અને સાથે પોલીસ જાપ્તા નહીં મળતા આરોપીઓ એક સાથે કોર્ટમાં હાજર રહી શકે એવી સ્થિતિ ન હતી. જે કારણે આ કેસમાં અત્યાર સુધી ચાર્જ ફ્રેમ પણ કરાયો નથી. વાલીઓ 10 વખત સુપ્રીમ કોર્ટમાં, 100 વખત હાઇકોર્ટમાં તેમજ અસંખ્ય વખત સેશન કોર્ટમાં ધક્કા ખાઇ ચૂક્યા છે. 5 વખત આ પ્રકરણમાં ચાર્જ ફ્રેમ માટે તારીખ પડી ચૂકી છે, પરંતુ કોરોના કાળના કારણે અને પોલીસ જાપ્તા ન હોવાના કારણે અત્યાર સુધી આ પ્રક્રિયા હાથ ધરાઇ શકી નથી.
આ પણ વાંચો -તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ : મૃતકોના પરિજનોની આંખો આજે પણ ન્યાય ઝંખે છે
મોટા અધિકારીઓને બક્ષી દેવામાં આવ્યા
દિવસો જતા તક્ષશિલાની આગ ભલે ઠંડી થઈ હોય, પરંતુ વાલીઓના કલેજાની આગ હજૂ પણ બુજાઈ નથી. સુરત મહાપાલિકાના અધિકારીઓની બેદરકારીને કારણે આ ઘટનામાં 22 નિર્દોષ કિશોરોએ જીવ ગુમાવ્યો હતો. સરકારે જાહેરાત કરી હતી કે, આ ઘટનામાં સામેલ લોકોને ક્યારે પણ છોડવામાં આવશે નહીં, પરંતુ વાલીઓનો આરોપ છે કે, અત્યાર સુધી મોટા અધિકારીઓને બક્ષી દેવામાં આવ્યા છે અને એકેય ઉચ્ચ અધિકારીની ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો -તક્ષશિલા અગ્નિકાંડને આજે એક વર્ષ પૂર્ણ : પરંતુ લોકોની નજર સમક્ષથી આ ગોઝારી ઘટના દૂર નથી રહી