સુરત : નવરાત્રિ એટલે મહાશક્તિનો પર્વ અને આ નવરાત્રિમાં ભાવિ ભક્તો માતાજીની મંદિરમાં મોટી લાઈનોમાં ઊભા રહી દર્શન કરતા હોય છે. નવરાત્રિમાં માતાજીની ઝલક પામવા કલાકો સુધી ભાવિ ભક્તો લાઈનોમાં ઊભા થતાં હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે ભક્તો પહેલીવાર માતાજીની પ્રતિમાની ઝલક સાક્ષાત મેળવી શકશે નહીં. દેશભરમાં પ્રખ્યાત અંબાજી ટ્રસ્ટના માતાજીના મંદિરમાં દેશના ખૂણાથી ભક્તો નવરાત્રિના પર્વ દરમિયાન આવતા હોય છે.
સુરતના અંબાજી મંદિરમાં નવરાત્રિમાં ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ પર્વને લઇ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ભક્તો દેશભરમાં પ્રખ્યાત સુરતના અંબાજી મંદિરમાં આ વખતે માતાજીના દર્શન કરી શકશે નહીં. તેમજ આરતીમાં પણ ભાગ લઇ શકશે નહીં. કોરોનાને ધ્યાનમાં રાખી અંબાજી ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે 50 વર્ષમાં પહેલીવાર ભક્તો નવરાત્રીમાં માતાજીના સાક્ષાત દર્શન કરી શકશે નહીં.
ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિત બિહાર, ઉત્તરપ્રદેશના ભક્તો નવરાત્રિ દરમિયાન અંબાજીના દર્શન માટે આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોના કાળને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિમાં ભક્તો માટે મંદિર ખુલ્લો મુકવામાં આવશે નહીં. એટલું જ નહીં 50 વર્ષમાં પહેલીવાર ભક્તો નવરાત્રિમાં માતાજીના દર્શન કરી શકશે નહીં.
જોકે ભક્તો માટે ખાસ એલઇડી સ્ક્રીન મંદિર બહાર મુકવામાં આવશે. આ એલઇડી સ્ક્રીન દ્વારા ભક્તો આરતી સહિત અન્ય પૂજા-અર્ચના લાઈવ નિહાળી શકશે.