ભાદરના રેલવે પુલ પર ટ્રેનની અડફેટે ચડતાં ત્રણ દીપડાઓના મોત રાજકોટ: ધોરાજી પાસે ટ્રેન અડફેટે ચડતા એક સાથે ત્રણ જેટલા દીપડાઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ભાવનગર-પોરબંદર રૂટની ટ્રેનની અડફેટે ત્રણ જેટલા દીપડાઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ ઘટના બનતા ટ્રેનને તુરંત રોકી દેવામાં આવી હતી જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રેનની અડફેટે ચડતાં એક સાથે ત્રણ દીપડાઓના મોત એક માદા દીપડી સહિત બે બચ્ચાઓના મોત:ભાવનગરથી પોરબંદર જતી ટ્રેન નંબર 09568 પૂરપાટ ઝડપે ધોરાજી-ઉપલેટા વચ્ચે આવેલા ભાદરના પુલ પર પહોંચતા ત્રણ જેટલા દીપડાઓ અડફેટે ચડ્યા હતા. જેમાં એક માદા દીપડી હતી અને તેની સાથે બે બચ્ચાઓ હતા. જેમાં એક દીપડાનું કપાઈ જવાથી, જ્યારે અન્ય બે બચ્ચાઓના ટકરાવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.
'ભાવનગરથી પોરબંદર તરફ જઈ રહેલી ટ્રેનની અડફેટે અકસ્માતે બનેલી આ ઘટના અંગે રેલવે વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારે આ ઘટના અંગેની જાણ થયા બાદ ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ તુરંત ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આ બનાવની અંદર ત્રણ જેટલા દીપડાના મોત થયા છે જેમાં એક ફિમેલ દીપડી છે અને બે બચ્ચા છે. જેમાં એક મેલ બચ્ચું છે અને એક ફિમેલ બચ્ચું છે જેમની બોડીનું પોસ્ટમોર્ટમ કરવા માટેની કામગીરી કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.' - નિહારિકા પંડ્યા, ધોરાજી ફોરેસ્ટ ઓફિસર
'ભાવનગરથી પોરબંદર રૂટની ટ્રેન ધોરાજીથી ઉપલેટા તરફ આવી રહી હતી ત્યારે ધોરાજી ભાદરના પુલ પર ત્રણ જેટલા દીપડાઓ અડફેટે ચડેલ હોવાની બાબત સામે આવી હતી. જાણ થતા ટ્રેન તુરંત રોકી દેવામાં આવી હતી અને અકસ્માતે બનેલી આ ઘટનામાં રેલ્વે વિભાગ દ્વારા તુરંત ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી જે બાદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. આ બનાવ બાદ રેલવે કંટ્રોલ રૂમની સૂચના બાદ રોકાયેલ ટ્રેનને પુનઃ તેમના રૂટ ઉપર રવાના કરી દેવામાં આવી હતી.'- એચ.વી. દેસાઈ, અધિક્ષક, ઉપલેટા રેલ્વે સ્ટેશન
માનવ વસાહતમાં દીપડાના આટાં ફેરા વધ્યા: છેલ્લા ઘણા સમયથી ધોરાજી તેમજ ઉપલેટા પંથકમાં દીપડાઓના અનેક હુમલાઓ તેમજ આટાં ફેરા નજરે પડ્યા છે. ઉપલેટાની એનિમલ હોસ્ટેલમાં દીપડાએ અનેક હુમલાઓ કરી વાછરડીને પોતાનો શિકાર બનાવ્યો છે જ્યારે અન્ય એક કિસ્સામાં એક માસુમ બાળકનું પણ મોત થયેલ છે. જંગલ વિસ્તારમાં રહેતા પશુઓ માનવ વસાહતો વિસ્તારની અંદર પહોંચી જવાના કારણે લોકોમાં અને ખેડૂતોમાં પણ છેલ્લા ઘણા સમયથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Rajkot Leopard: રાજકોટમાં દીપડાની દહેશત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સવારે અને મોડી સાંજે મોર્નિંગ વૉક પર પ્રતિબંધ
- Leopard in Rajkot : રાજકોટની ભાગોળે ફફડાટ ફેલાવનાર દીપડાને પકડવા કવાયત, વનવિભાગે કરી જનતાને અપીલ