પોરબંદરઃ વિશ્વભરમાં કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે ભારતમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને તેને પગલે અનેક અન્ય રાજ્યના શ્રમિકો ગુજરાતમાં ફસાયા હતા. પોરબંદરમાં પણ અમુક શ્રમિકોને કોઈ સુવિધાઓ કે, પરમિશન ન મળતા ચાલીને જવાનું નક્કી કર્યું હતું, પરંતુ પોલીસે સમજાવ્યા બાદ હવે તેઓને હવે ટ્રેનમાં મધ્યપ્રદેશ રવાના કરાતા શ્રમિકોએ સરકારનો આભાર માન્યો હતો.
પોરબંદરથી મધ્યપ્રદેશ જવા 3 શ્રમિકો રવાના, ગુજરાતીઓનો માન્યો આભાર પોરબંદરમાં વર્ષોથી કલર કામ કરીને ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના ધર્મેન્દ્ર સિંહ ભદોરીયા સહિતના અન્ય 5 લોકોને વતન જવું હતું, પરંતુ આ બાબતે અનેક વાર કચેરીઓમાં જઇને રજૂઆત કરી હતી અને ઓનલાઈન પ્રક્રિયાનું કહેવામા આવ્યુ હતું. ત્યારે તે લોકોના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડ્યા હતા. અંતે 6 મેના રોજ તેઓએ પોરબંદરથી મધ્યપ્રદેશ ચાલીને જવાનું નક્કી કર્યું હતું અને સાંજે ચાલતા ચાલતા 20 કિમી દૂર રાણાવાવથી આગળ ભોદના પાટીયા પર તેઓને પોલીસે રોક્યા હતા અને ચાલીને આ રીતે મધ્યપ્રદેશ ન જવા સમજાવ્યા હતા.
તેઓને કમલબાગ પોલિસ સ્ટેશનમાં કાર મારફતે પહોંચાડી પોલિસ સ્ટેશનમાં નાસ્તો કરાવાયો હતો અને ઘરે પરત મોકલ્યા હતા. તે સમયે ઇટીવી ભારતની ટીમેં આ અંગે વિગત પૂછતાં તેઓએ વાસ્તવિકતા રજૂ કરી હતી.
તારીખ 7 મેના રોજ તેઓએ 1077 હેલ્પલાઇનની મદદ મેળવી નગરપાલિકા દ્વારા તમામનું નામ શ્રમિક ટ્રેન માટે રજીસ્ટ્રેશન કરાવાયું હતું. જ્યારે તારીખ 11ના રોજ તમામને ટ્રેનમાં મધ્યપ્રદેશ મોકલવાની વ્યવસ્થા કરાતા શ્રમિકોના ચહેરા પર અનોખી ખુશી છવાઈ હતી અને તમામ ગુજરાતીઓ સહિત ઇટીવી ભારતનો પણ આભાર માન્યો હતો.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા શ્રમિકોને 3 દિવસથી ટ્રેન મારફત મધ્યપ્રદેશ મોકલવામાં આવી રહ્યા છે. તારીખ 9 મેના રોજ 1145, તારીખ 10 મેના રોજ 1496, તારીખ 11 મેના રોજ 2087 થઈ કુલ 4788 શ્રમિકોને મધ્યપ્રદેશ મોકલવામા આવ્યા હતા. જેમાં મોટાભાગના મધ્યપ્રદેશના અલીરાજ પુર, ધાર અને જાંબુઆ જિલ્લાના શ્રમિકો હતા.
10 કલાકની લાંબી મુસાફરી બાદ તેઓ વતન પહોંચશે, ત્યારે પ્રશાશન દ્વારા ગામડાએથી લાવવા માટે 41 બસની વ્યવસ્થા કરાઈ હતી અને છૂટી બુંદી ગાંઠીયા, થેપલા અને ચા, પાણી માસ્ક પેક પેપર શોપ આપ્યાનું પ્રાંત અધિકારી કેવી બાટીએ જણાવ્યું હતું .
આ વ્યવસ્થામાં જિલ્લા વહીવટી તંત્ર, શહેર પોલીસ, રેલવે પોલીસ રેલવે વિભાગ શિક્ષણ અને આરોગ્ય વિભાગ અને એસ ટી વિભાગ દ્વારા સતત ત્રણ દિવસ મહેનત કરવામાં આવી હતી. જો કે, તારીખ 11ના રોજ રાત્રીના મીડિયાને રેલવે સ્ટેશનમાં અધિકારીઓ દ્વારા અંદર જવાની મનાઇ કરવામાં હતી.